સુરતનું મારુતિ વીર જવાન ટ્રસ્ટ શહીદ જવાનોના પરિવારના વ્હારે આવ્યું
સુરતના મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા વડગામ તાલુકાના 3 ગામોમાં શહીદ પરિવારને રૂ. 7,50,000 ના ચેકો અર્પણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું.
મેમદપુર, છનિયાણા અને ઘોડીયાલ આમ 3 ગામોના શહીદોના પરિવારના વ્હારે આવ્યું હતું. આ મારુતિ વીર જવાન ટ્રસ્ટમાં વડગામ તાલુકાના કોદરામ ગામના વતની અને હાલ સુરતમાં રહેતાં મનોજભાઇ લવજીભાઇ પ્રજાપતિ ટ્રસ્ટી છે.
અને આ ટ્રસ્ટ છેલ્લા 3 વર્ષથી દેશની સેવામાં જીવન અર્પણ કરનાર અને શહીદી વહોરનાર શહીદોના પરિવારને સહાય અર્પણ કરી હૂંફ પુરી પાડે છે અને હાલમાં જ તા. 16 મી ઓક્ટોબરે રક્ષા મંત્રી
રાજનાથસિંહની અધ્યક્ષતામાં એક વર્ચુયલ પ્રોગ્રામ યોજી 121 શહીદના પરિવારજનોને રૂ. 3 કરોડની મદદ કરવામાં આવી છે. કોદરામ ગામના હોવાથી મનોજભાઇ પણ સેવાકીય યજ્ઞમાં સહભાગી થયા છે.
તેમણે ફરજ સમજી વડગામ તાલુકા છનિયાણા ગામના વીર શહીદ રમેશકુમાર ચેલાભાઇ દેસાઇ પરિવારને રૂ. 2,50,000 નો ચેક, મેમદપુર ગામના વીર શહીદ જશવંતસિંહ જુવાનસિંહ રાઠોડ પરિવારને
રૂ. 2,50,000 નો ચેક અને ઘોડીયાલ ગામના વીર શહીદ ચંદનસિંહ જેઠાજી બારડ પરિવારને રૂ. 2,50,000 નો ચેક આપ્યો હતો.
સુરતના મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા વડગામ તાલુકાના ગામોમાં શહીદોના પરિવારની માહિતી મનોજભાઇએ મેળવીને ટ્રસ્ટ સુધી પહોંચાડી આ ચેકો અર્પણ કરવામાં યોગદાન આપ્યું હતું.
તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ રાણા, વડગામ તાલુકા કોંગ્રેસ મહામંત્રી અને કોદરામ ગામના સરપંચ નરેન્દ્રસિંહ, વડગામ પી.એસ.આઇ. લાલજીભાઇ દેસાઇ, રબારી સમાજના સેવાભાવી વિષ્ણુભાઇ રબારી,
ભરતસિંહ હડીયોલ, ભાજપ બક્ષીપંચ મોરચાના વડગામના મહામંત્રી જયેશભાઇ અને ભૂખલા ગામના અમરતભાઇ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા.
From-Banaskantha update