રાજસ્થાનના બિકાનેરમાં બનેલી એક ચોંકાવનારી અને દુઃખદ ઘટનામાં એક પાંચ મહિનાની માસુમ બાળકીને તેના જ માતા-પિતાએ નહેરમાં ફેંકી દીધી. વધુ દુ:ખદ બાબત એ છે કે તેના પિતા ઝંવરલાલે તાજેતરમાં કોન્ટ્રાક્ટ પર મળેલી પોતાની સરકારી નોકરી બચાવવાના પ્રયાસમાં આ ઘૃણાસ્પદ કૃત્ય કરી પોતાની પુત્રી અંશિકા(અંશુ)ની હત્યા કરી. ત્યારપછી પોલીસ દ્વારા આ દંપતીની ધરપકડ કરવામાં આવી છે.
ઝંવરલાલ ચાંદસર ગામમાં શાળા સહાયક તરીકે કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે. પોલીસ અધિક્ષક યોગેશ યાદવે જણાવ્યું કે પિતાએ તેની પત્નીને પણ આ કૃત્યમાં સામેલ કરી હતી. રવિવારે સાંજે, દંપતી ચાર સીએચડીમાં તેમના ભાઈ-ભાભીના ઘરેથી ડાયત્રા જઈ રહ્યા હતા ત્યારે ઝંવરલાલે 5 મહિનાની માસુમ અંશુને ઈન્દિરા ગાંધી કેનાલ પ્રોજેક્ટ (IGNP)માં ફેંકી હતી અને માસૂમને ફેંકી દેવામાં આવતાં જોઈ કેટલાક લોકોએ બૂમાબૂમ કરતાં બાઇક સવાર માતા-પિતા ભાગી ગયાં હતાં.
લોકોએ બાળકીને કેનાલમાંથી બહાર કાઢી બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં અંશુ દમ તોડી ચુકી હતી.
ત્યારબાદ ઘટનાના સમાચાર ફેલાતા જ છત્તરગઢ અને ખજુવાલાના વિસ્તારોમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. ખજુવાલાના ટ્રેઇની સબ-ઇન્સ્પેક્ટર મુકેશ કુમારે દંપતીની બાઇક રોકી અને તેમની પૂછપરછ કરી. તેણે તેના મોબાઈલમાંથી તેમના ફોટા તેમજ ઝંવરલાલના આધાર કાર્ડનો ફોટો લીધો હતો. ત્યારબાદ તેને જવા દેવામાં આવ્યો. વધુ તપાસ બાદ દંપતીની ધરપકડ કરવામાં આવી હતી.
ઝંવરલાલના જણાવ્યા મુજબ, તેને હજુ ત્રણ બાળકો છે, એમાંથી તેણે એક પુત્રીને તેના મોટા ભાઈને દત્તક આપી છે. તે પ્રયાસ કરી રહ્યો હતો કે તેને કાયમી નોકરી આપવામાં આવે જેના માટે બેથી વધુ બાળકો ન હોવાની શરત છે. ઝંવરલાલે ગયા વર્ષે ડિસેમ્બરમાં પોતાનાં બે બાળકો હોવાનું એફિડેવિટ આપ્યું હતું. તેને ભય હતો કે બે કરતાં વધુ બાળકો હોવાને કારણે તે કાયમી નહીં થાય. આવી સ્થિતિમાં તેણે એક બાળકીને કેનાલમાં ફેંકીને તેની હત્યા કરી હતી.
From – Banaskantha Update