પાંથાવાડામાં શુક્રવારે ધાનેરાના ધારાસભ્યના હસ્તે રૂ.1.95 કરોડના ખર્ચે આકાર પામનાર પાણી પુરવઠાની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં 23 હજાર મીટર પાઈપ લાઈન થકી 2295 ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોચશે. દાંતીવાડાના પાંથાવાડા ગામમાં આવેલ નારણપુરા, ભાખરી, હરજીપુરા અને મફતપુરા વિસ્તારની 12,695 જનસંખ્યાને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે વાસ્મો પ્રોજેકટ અંતર્ગત રૂપિયા 1.95 કરોડ (195 લાખ)ના ખર્ચે આકાર પામનાર છે.
23 હજાર મીટર પાઈપ લાઈન, 200 એમ.એચ.ની 755 મીટર મુખ્ય પાઈપ લાઈન, એક લાખ લીટરની ક્ષમતા ધરાવતી ઓવરહેડ ટાંકી, 10 લાખ લીટરની ક્ષમતા ધરાવતો ભૂગર્ભ સંપ, બે લાખ લીટરની ક્ષમતા ધરાવતો ભૂગર્ભ સંપ, પમ્પીંગ મશીનરી સહિતની સુવિધાઓ ધરાવતી તેમજ બે હજારથી વધુ ઘરોમાં નલ સે જળ પહોંચે તે માટેની યોજનાનું શુક્રવારે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સરપંચ વેલાભાઈ માજીરાણા, પૂર્વ સરપંચ હંસાજી ગોવલાણી, રણજીતસિંહ દેવડા, રણમલસિંહ સોલંકી, સુરેન્દ્રસિંહ દરબાર તેમજ વાસ્મો પાલનપુરના જીલ્લા કો.ઓડીનેટર કૃણાલભાઈ પટેલ સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
From – Banaskantha Update