બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા ખેમાણા ટોલટેક્ષ ઉપર અમીરગઢના સ્થાનિક લોકોને ટોલમાંથી મુક્તિ આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકોએ આવીને ટોલટેક્ષ ઉપર ચક્કાજામ કર્યું હતું. તેમજ આબુથી અમદાવાદ જતા નેશનલ હાઈવેને બ્લોક કરી નાખ્યો હતો. જેથી વાહન ચાલકો અટવાયા હતા. જોકે, અંતે ટોલમુક્તિની બાંહેધરી અપાતા આંદોલન સમેટાયું હતું.
બનાસકાંઠાના પાલનપુર-આબુરોડ હાઇવે ઉપર ખેમાણા ટોલ નાકા ઉપર અમીરગઢ પંથકના લોકો પાસેથી ટોલકર્મીઓ ટોલ ટેક્ષ લેતા હોવાથી સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. તેમજ ટોલ ન લેવા માટે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં 500થી વધુ લોકો ખેમાણા ટોલટેક્ષ ઉપર પહોંચ્યા હતા અને નેશનલ હાઇવે ઉપર વાહનો આડા રાખીને હાઇવેને બ્લોક કર્યો હતો. જેને લઈને હાઇવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી.
ધારાસભ્ય કાંતિ ખરાડીએ ચીમકી ઉચ્ચારી હતી કે, આજે તો ફક્ત 500 લોકો આવ્યાં છે જો નિરાકરણ નહી આવે તો આવતીકાલે સમગ્ર અમીરગઢ પંથકના લોકો આવીને ચક્કાજામ કરીશું. જ્યા સુધી અમારી માંગ નહી સ્વીકારવામાં આવે ત્યાસુધી અહીંથી નહીં ઉઠશું. વિરોધ પ્રદર્શનને પગલે બનાસકાંઠા જિલ્લા પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસ અને NHAIના અધિકારી દ્વારા ધારાસભ્ય અને સ્થાનિક વાહન ચાલકોને મનાવતા અંતે નેશનલ હાઈવે એક કલાક બાદ ખુલ્લો કરવામાં આવ્યો હતો. જેથી અંતે ટોલમુક્તિની બાંહેધરી અપાતા આંદોલન સમેટાયું હતું.
From – Banaskantha Update