ખેડૂત સાથે થયેલી છેતરપિંડી બાદ રજૂઆત કરતાં બનાસકાંઠા કાનૂની માપ વિજ્ઞાન વિભાગની કાર્યવાહી
કાંકરેજ તાલુકાના થરા-ટોટાણા રોડ પર આવેલ એમ.કે. કોટન વે-બ્રિજમાં ક્ષતિ જણાતાં બનાસકાંઠા કાનૂની માપ વિજ્ઞાન વિભાગ દ્વારા કાર્યવાહી કરી વે-બ્રિજ સીલ કર્યો હતો. ખેડૂત સાથે થયેલી છેતરપિંડી બાદ રજૂઆત કરતાં તંત્ર દ્વારા પગલાં લેવાયા હતા.
આ અંગેની વિગત એવી છે કે, થરામાં એમ.કે.કોટનમાં આવતાં ગ્રાહકોને માલિક દ્વારા ઇલેકટ્રીક વજન કાંટામાં તોલમાપમાં વજન ફેરફાર કરી ખેડૂતોને છેતરી રહ્યા હોવાનું જણાતાં થરાના પૂર્વ પ્રમુખ, થરા
નગરપાલિકા, હાલ ચાલુ કોર્પોરેટર અને નાગરીક પુરવઠા સલાહકાર સમિતિ સભ્ય વસંતજી ઘાંઘોસ તેમના કપાસ લઇને વેચવા ગયા હતા.
જ્યાં વજનમાં છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. તેમણે અન્ય વે-બ્રિજ ઉપર વજન કરાવતાં ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોવાનું સામે આવ્યું હતું. નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગ ગુજરાત રાજયમાં ઓનલાઇન ફરિયાદ અને બનાસકાંઠા કલેકટર કચેરીએ પણ લેખિત અરજી કરી હતી.
જેમાં કાનૂની માપ વિજ્ઞાન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે આવી વજન કાંટાને સાફસફાઇ કરી ખાલી વજન કાંટાને 0 (ઝીરો) કરી કાંટા ઉપર ચારેબાજુના ચારેય ખૂણા ઉપર અને સેન્ટ્રલમાં એટલે વચ્ચોવચ્ચ
2,000 કિલો વજનના 20 કિલોના વજનિયા મૂકી 5 વખત ખાલી કાંટાના વજન અને લોડીંગ કાંટાનુ વજન ચેક કર્યું હતું. જેમાં 15 થી 20 કિલોગ્રામ સુધીનો ફેરફાર જોવા મળતાં કાનૂની માપ વિજ્ઞાન વિભાગે
એમ.કે.કોટનના વે-બ્રિજને સીલ માર્યું હતુ. કેસ અને પંચનામું એરીયા ઇન્સ્પેકટર દિયોદર ડીવીઝન પી.એમ.દેસાઇએ કર્યું હતું.
આ અંગે પાલનપુર કાનૂની માપ વિજ્ઞાન વિભાગના ઇન્ચાર્જ મદદનીશ નિયંત્રક વરૂણભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘ધી ગુજરાત લીગલ મેટ્રોલોજી એન્ફોર્સમેન્ટ એકટ-2011 અન્વયેની નિયમની ખામી આવી છે.
હાલ વે-બ્રિજને સીલ કરી બંધ કરવામાં આવ્યો છે. જેટલાં ભાગીદાર હશે તે પ્રમાણે દંડ થશે. એમની જોડેથી લેખિત માહિતી લેવી પડશે માહિતી આવે તે પછી દંડ થશે.’
From-Banaskantha update