પિયરથી દાગીના અને દહેજ ન લાવતાં વારંવાર ટોણા મારતા હતા : મહીલાના પતિ સહીત 4 શખ્સો સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
ધાનેરા તાલુકાના થાવર ગામમાં દહેજ બાબતે સાસરીયાઓ અવાર-નવાર માનસિક અને શારિરીક ત્રાસ આપતાં હોવાથી કંટાળીને પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરતાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે મૃતકના ભાઇએ ધાનેરા પોલીસ મથકે પરિણીતાના પતિ, સસરા, સાસુ અને નણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા તાલુકાના થાવર ગામમાં રહેતાં સાગરભાઇ મહાદેવભાઇ બારોટના લગ્ન સાતેક વર્ષ અગાઉ રાજસ્થાનના રેવદર તાલુકાના જેતાવાડા ગામના દલપતભાઇ રાવની દીકરી સરસ્વતી સાથે થયા હતા.
પરંતુ સરસ્વતીબેનના સાસરીયાઓ અવાર-નવાર પિતાના ઘરથી કોઇ દાગીના કે દહેજ લાવેલ નથી તે બાબતે અનેકવાર મેણા-ટોણા મારતાં હતા અને વધુને વધુ ત્રાસ આપવામાં આવતાં આ યુવતીએ તા. 17
ડિસેમ્બરના રોજ ઝેરી દવા ગટગટાવી જતાં તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લવાઇ હતી અને યુવતીના ભાઇ વિજયભાઇને જાણ કરવામાં આવતાં તે તાત્કાલીક ધાનેરા આવ્યા હતા.
અને પોતાની બહેનની હાલત ગંભીર જણાતાં વધુ સારવાર અર્થે પાલનપુર લઇ જવાઇ હતી અને ત્યાં સરસ્વતીબેને છેલ્લા શ્વાસ લીધા હતા.
જેથી યુવતીના ભાઇએ પોતાની બહેનને દહેજ બાબતે માનસિક અને શારિરીક ત્રાસ આપતાં બહેનના પતિ સાગરભાઇ મહાદેવભાઇ બારોટ, મહાદેવભાઇ ગમનાજી બારોટ (સસરા), રંજુબેન મહાદેવભાઇ બારોટ
(સાસુ) અને શશીબેન મહાદેવભાઇ બારોટ (નણંદ) સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update