2 સ્કૂલોમાં જવા માટે કેટલાંક બાળકો રેલ્વેના પાટા ઓળંગી રહ્યા હોઇ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતી સેવાઇ રહી છે
વડગામ તાલુકાના મજાદર ગામમાં રેલ્વે અંડરપાસનું કામ ખોરંભે પડતાં કેટલાંક બાળકો સ્કૂલે જવા માટે રેલ્વેના પાટા ઓળંગી રહ્યા છે. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતી રહેલી છે.
પુલ ઉપર ચડવા માટે બંને તરફે સીડી હોવા છતાં બાળકો તેનો ઉપયોગ કરતાં નથી. તેના માટે વાલીઓ પણ એટલા જ જવાબદાર હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
વડગામ તાલુકાના મજાદર ગામમાં પસાર થતાં રેલ્વે ટ્રેક ઉપર અંડરપાસનું કામ શરૂ કરાયું હતું. જોકે, આંતરીક વિવાદના કારણે કામ બંધ છે.
ત્યારે પુલની બીજી તરફે આવેલી 2 સ્કૂલોમાં જવા માટે કેટલાંક બાળકો રેલ્વેના પાટા ઓળંગી રહ્યા હોઇ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતી સેવાઇ રહી છે.
આ અંગે ગામના સરપંચ દિનેશભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, ‘વર્ષોથી બંધ પડેલું અંડરપાસનું કામ અમે ચાલુ કરાવ્યું છે. અંડરપાસ બની ગયા પછી આ સમસ્યાનો હલ આવશે.’
આ અંગે આચાર્ય બ્રિજેશભાઇ પરમારે જણાવ્યું હતું કે, ‘પુલ ઉપર ચડવા માટે સીડીઓ બનાવવામાં આવેલી છે. જોકે, સ્કૂલની નજીક રહેતાં વાલીઓ સીડીનો ઉપયોગ ન કરી સીધા પાટા ઓળંગીને શાળામાં આવે છે.
બાળકોની સલામતી જોવા માટે વાલીઓ પણ એટલા જ જવાબદાર છે. અમે સ્કૂલમાં બાળકોને દરરોજ કહીએ છીએ કે પાટા ઓળંગીને કદાપી સ્કૂલમાં આવવું નહીં.’
From-Banaskantha update