વર્ષ-2016 માં બનેલી ઘટનામાં દુકાનદારની બેદરકારી બહાર આવી : દાંતીવાડા જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટે 6 વર્ષ પછી ગુનો દાખલ કરવા હુકમ કર્યો
દાંતીવાડા તાલુકાના ગાંગુદરામાં વર્ષ-2016 માં એક યુવક દુકાને પડીકી લેવા ગયો હતો. જ્યાં ફ્રીજ અને લોખંડની એંગલથી કરંટ લાગતાં મોત નિપજ્યું હતું. આ અંગે પરિવારજનોએ કોર્ટમાં કેસ કર્યો હતો.
જેમાં 6 વર્ષ બાદ કોર્ટે આ ઘટનામાં દુકાનદારની બેદરકારી હોવા અંગેનો ગુનો નોંધવાનો હુકમ કરતાં દાંતીવાડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ભીલાચલ ગામના નાગજીભાઇ વાઘાભાઇ રબારી (ઉં.વ. આ. 21) તા. 25/05/2016 ના દિવસે ગાંગુદરા ગામમાં પ્રવિણસિંહ જયસિંહ સોલંકીની કરિયાણાની દુકાને પડીકી લેવા ગયા હતા.
જ્યાં દુકાનમાં રાખેલા ફ્રીજ અને લોખંડની એંગલવાળા દરવાજાથી કરંટ લાગતાં મોત નિપજ્યું હતું. પરિવારને મોત બાબતે શંકા જતાં દાંતીવાડા જયુડીશિયલ કોર્ટમાં તપાસ કરવા ઇન્કવાયરી દાખલ કરી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ‘ઘટના ઘટી ત્યારે ગાંગુદરા ગામમાં સવારના 11:00 વાગ્યાના સુમારે વધારે પવનના કારણે લીમડાની ડાળી હળવા વીજ દબાણવાળી એલ.ટી. લાઇન દુકાન ઉપર પડતાં વાયર ભેગા થયા હતા.
અને ટ્રાન્સફોર્મ ઉપર શોર્ટ-સર્કીટ થતાં જેના કારણે ઘર વપરાશના અને અન્ય ઇલેક્ટ્રીક વસ્તુઓ ડેમેજ થયેલી હતી.
આ સમયે મરણ જનાર નાગજીભાઇ પ્રવિણસિંહ જયસિંહ સોલંકીની દુકાનમાં રહેલ ફ્રીજમાં સંપર્કમાં આવતાં કરંટ લાગતાં મોત નિપજ્યું હતું. દુકાનદાર પ્રવિણસિંહ સોલંકીએ દુકાને ઇ.એલ.સી.બી. અને
એમ.એલ.સી.બી. ઉપકરણો દુકાને લગાવવા ફરજીયાત હોય છે. છતાં ન લગાવી બેદરકારી દાખવી હતી. આથી કોર્ટે તેની સામે ગુનો નોંધવા માટે હુકમ કર્યો હતો.’
From-Banaskantha update