10 વર્ષ અગાઉની ઘટનામાં પાલનપુરની ત્રીજી જયુડીશિયલ કોર્ટનો ચૂકાદો
પાલનપુર તાલુકાના બાદરપુરા ગામમાં 6 વર્ષ અગાઉ ખેતરની ઉપજ પડાવી લઇ ભાગીયાનું અપહરણ કરનાર 3 શખ્સોને પાલનપુરની ત્રીજી જયુડીશિયલ કોર્ટના ન્યાયાધીશે 1 વર્ષની કેદ અને રૂ. 5,000 નો દંડ ફટકાર્યો હતો.
બાદરપુરા (ભૂતેડી) ગામમાં વર્ષ-2013 માં દાંતા તાલુકાના ધરેડા ગામના બધીબેન તેમના પતિ મણીલાલ ગરાસીયા પરિવાર સાથે ખેતરમાં ભાગીયા તરીકે રહી ભાગથી વાવેતર કરતાં હતા.
જોકે, ખેતરમાં કરેલા વાવેતરની ઉપજ અને મજૂરીનો ભાગ લેવા જતાં મનુભાઇ પરથીભાઇ પટેલ, વિરસંગભાઇ પરથીભાઇ પટેલ અને અશોકભાઇ પટેલે તે પડાવી લઇ હાંકી કાઢ્યા હતા.
તે દરમિયાન તા. 15/07/2013 ના દિવસે આ આદિવાસી પરિવાર પોતાના ભાગે આવેલા ઘઉં તેમના સબંધીના ઘરે ભૂતેડી લેવા માટે જતાં હતા.
ત્યારે ત્રણેય શખ્સો બાઇક લઇને ત્યાં આવ્યા હતા. જ્યાં મણીલાલ ગરાસીયાએ પોતાના ભાગની માંગણી કરતાં ત્રણેય ઉશ્કેરાઇ જઇ મણીલાલનું અપહરણ કર્યું હતું.
આ અંગેનો કેસ પાલનપુરની ત્રીજી જયુડીશિયલ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ અજય ત્રિલોકચંદ તિવાડીએ વકીલ ડી. જી. વૈષ્ણવની દલીલો ગ્રાહ્ય રાખી ત્રણેય આરોપીઓને 1 વર્ષની કેદ અને રૂ. 5,000 નો દંડ ફટકાર્યો હતો.
From-Banaskantha update