ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસે શુક્રવારે મોડી રાત્રે પોતાની જ ગાડીની બાજુમાં અકસ્માત થયેલ એક વ્યક્તિની લાશ જોવા મળતા પસાર થતા લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા લાવી ઓળખ કરી પરિવારજનોને જાણ કરાઇ હતી. ત્યારે પરિવારજનો દ્વારા કોઈક લોકોએ હત્યા કરી હોવાના આક્ષેપો કર્યા હતા.
ધાનેરા તાલુકાના રાજસ્થાન તરફ નેનાવા ગોળીયા પાસે શુક્રવારે મોડી રાત્રે નેશનલ હાઇવે ઉપર માથું કચડાયેલ અને ચાલુ પીકઅપ ડાલા પાસે એક વ્યક્તિની લાશ જોવા મળતા ત્યાંથી પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.
પોલીસે મૃતકના ખિસ્સામાં રહેલા કાગળોના આધારે ઓળખ કરતાં તે રાજસ્થાનના સાંચોર તાલુકાના પાંચલા ગામના રમેશભાઈ પદ્માજી રાવળા (રાજપુત) (ઉં.વ.45) હોવાનું જાણવા મળતા પોલીસે તેના પરિવારજનોને જાણ કરી હતી. જેથી શનિવારે સવારે તેના પરિવારજનો તેમજ સગા સંબંધીઓ પણ ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
જ્યારે મૃતક ગાડીમાં નિકળ્યો તે વખતે બીજા બે લોકો પણ સાથે હતા. આ અકસ્માત નહીં પરંતુ હત્યા છે તેવું મૃતકના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું અને લાશનું પોસ્ટમોર્ટમ થવા છતાં તેના પરિવારજનો અને સમાજના લોકો દ્વારા જ્યાં સુધી તેની સાથે રહેલા શખ્સો ના પકડાય ત્યાં સુધી લાશ ન ઉપાડવા નિર્ધાર કર્યો હતો. આથી પીઆઈ એ.ટી.પટેલ તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને જે નામ આપ્યા છે તે લોકોને પકડી પાડવાની ખાત્રી આપવા છતાં પરિવારજોએ લાશ ઉપાડવાનો ઇન્કાર કર્યો હતો.
From – Banaskantha Update