રેલ્વે પુલ ઉપર પડેલા ખાડામાં બાઇક પડતાં અકસ્માત સર્જાયો : ભત્રીજા સાથે મહીલા બાઇક ઉપર પિતાના ઘરે સામરવાડા જતા હતા
ધાનેરાથી ડીસા તરફ જવાના રસ્તે ભત્રીજો અને ફોઇ રેલ્વે પુલ ઉપર બાઇક લઇને ગુરુવારે બપોરે પસાર થઇ રહ્યા હતા.
ત્યારે રસ્તામાં પડેલા ખાડામાં બાઇક ઉછળતાં બાઇક પાછળ બેઠેલ મહીલા રોડ ઉપર પટકાતાં પાછળ આવતાં હાઇવે ટ્રકના ટાયર નીચે મહીલા આવી જતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરુણ મોત નિપજ્યું હતું.
ધાનેરાથી ડીસા તરફ જવાના માર્ગે રેલ્વે પુલ ઉપર ગુરુવારે બપોરે 12:00 વાગ્યાના સુમારે બાઇક નં. GJ-08-CL-1403 ઉપર મુકેશભાઇ જેતાભાઇ પટેલ અને તેમની ફોઇ ત્રીજાબેન ગજાભાઇ પટેલ (ઉં.વ.આ. 42) ધાનેરા તરફથી સામરવાડા ગામમાં જઇ રહ્યા હતા.
ત્યારે રેલ્વે પુલ ઉપર અચાનક ખાડામાં બાઇક ઉછળતાં સાઇડમાં જતાં ટ્રેકટરની પાછળ અડી જતાં ત્રીજાબેન નીચે પડી જતાં પાછળ આવી રહેલ હાઇવે ટ્રકના ટાયર નીચે ત્રીજાબેનનું માથું આવી ગયું હતું.
જેથી ઘટનાસ્થળે તેમનું કમકમાટીભર્યું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે મુકેશભાઇને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.
આ અંગે સામરવાડાના માસુંગભાઇ ઉમાભાઇ ખરણે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ત્રીજાબેન પોતાના ભત્રીજાના બાઇક ઉપર બેસીને પિતાના ઘરે સામરવાડા જઇ રહ્યા હતા. જોકે, પિતાના ઘરે પહોંચે તે પહેલાં કાળ તેમને ભરખી ગયો હતો. આ ઘટના જોતાં લોકો તાત્કાલીક દોડી આવ્યા હતા.
જાણવા મળેલ માહિતી મુજબ, આ મહીલાના પતિ વિવેકાનંદ સ્કૂલ જડીયામાં ફરજ બજાવતાં હતા. મૃતક ત્રીજાબેન ગજાભાઇ પટેલને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે. ત્રણેય સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.
આ અંગે જાગૃત નાગરીક કાનજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘નેશનલ હાઇવેની નબળી કામગીરીના લીધે આ મહીલાનો ભોગ લેવાયો છે અને આ બંને સાઇડના ખાડાઓ હજુ પણ કોઇનો ભોગ લે તે પહેલાં ડામરથી પૂરવામાં આવે તે જરૂરી છે.’
From-Banaskantha update