પાલનપુરના મીરાગેટ વિસ્તારમાંથી રવિવારે રાત્રે 12.00 કલાકે એક યુવકનું યુવતીના મુદ્દે અજાણ્યા શખ્સોએ કારમાં અપહરણ કર્યુ હતુ. આ અંગે પૂર્વ પોલીસને જાણ કરવામાં આવતાં વહેલી સવારે 5 વાગે અંબાજીથી અપહરણકર્તાઓની ચૂંગાલમાંથી મુક્ત કરાવવામાં આવ્યો હતો.પાલનપુરમાં રહેતા કિરણભાઇ સુરેશભાઇ દરજીનું યુવતી બાબતે રવિવારે રાત્રે 12.00 કલાકે અજાણ્યા શખ્સોએ મીરાગેટ વિસ્તારમાંથી કારમાં અપહરણ કર્યુ હતુ.
આ અંગે પૂર્વ પોલીસ મથકે જાણ કરવામાં આવતાં પીઆઇ જે. પી. ગોસાઇએ ટીમ સાથે તપાસ હાથ ધરી હતી. અને વહેલી સવારે 5.00 કલાકે અંબાજી પોલીસની મદદથી અંબાજીમાંથી અપહરણકર્તા કમલેશભાઇ શંકરભાઇ વણજારા, રાજુભાઇ બંસીલાલ સોની અને સોમાજી ગણેશભાઇ મુંગીયાની ચૂંગાલમાંથી તેણે મુક્ત કરાવ્યો હતો. ત્રણેય શખ્સોની અટકાયત કરી પાલનપુર પોલીસ મથકે ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પાલનપુરના કિરણભાઇ દરજીનું અજાણ્યા શખ્સો કારમાં અપહરણ કરી ગયા હતા. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે કારનો નંબર મેળવી ભેદ ઉકેલ્યો હતો.
અંબાજીના શંકરભાઈ રામાજી વણઝારાએ પોતાની પત્ની સાથે સંબંધ હોવાની શંકા રાખી કમલેશભાઈ શંકરભાઈ વણઝારા, પ્રેમ શંકરભાઈ વણઝારા, રાજુભાઈ બંસીલાલ સોની અને સોમાજી ગણેશભાઈ મુંગીયાની મદદગારીથી કિરણભાઈ દરજીનું કારમાં છરીની અણીએ અપહરણ કર્યું હતું. જોકે, પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.
From – Banaskantha Update