ઉત્તર ગુજરાતની 27 બેઠક પર 73,31,029 મતદારો મત આપશે : વર્ષ-2017 માં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે 14, ભાજપે 12 અને અપક્ષે 1 બેઠક જીતી હતી : બનાસકાંઠામાં 9 બેઠકો પૈકી 2 બેઠકો ડીસા અને કાંકરેજની બેઠક ભાજપ પાસે, 7 પર કોંગ્રેસ પાસે
ચૂંટણી પંચે ગુરૂવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર કરી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં બીજા ચરણમાં 27 બેઠકો પર આગામી તા. 5 ડિસેમ્બરે મતદાન પ્રક્રીયા હાથ ધરાશે.
જયારે તા. 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે. 27 બેઠક પર 73,31,029 મતદારો નોંધાયા છે. વર્ષ-2017 ની ચૂંટણીમાં 64,96,570 મતદારો હતા.
એટલે કે, ગત વિધાનસભાની ચૂંટણી કરતાં આ વખતે 8,34,459 મતદારો વધ્યા છે. વર્ષ-2017 ની ચૂંટણી પરિણામમાં 27 બેઠકો પૈકી 14 બેઠક કોંગ્રેસ, 12 બેઠક ભાજપ અને 1 બેઠક અપક્ષની રહી હતી.
આ ચૂંટણીમાં 73.51 ટકા મતદાન સાથે 47,75,421 લોકોએ મતાધિકાર ભોગવ્યો હતો. જે પૈકી ભાજપને 21,39,217 મત અને કોંગ્રેસને 21,06,821 મત મળ્યા હતા.
જ્યારે નોટા અને અન્ય ઉમેદવારોને 5,29,383 મત મળ્યા હતા. ચૂંટણી બાદ ઉંઝા બેઠકના કોંગ્રેસના ડો.આશાબેન પટેલ પક્ષ પલ્ટો કરી ભાજપમાંથી વિજેતા બન્યા હતા.
જો કે, તેમના અવસાન બાદ બેઠક ખાલી રહી હતી. તેવી જ રીતે ભીલોડા કોંગી ધારાસભ્ય ડો.અનિલ જોષીયારાના અવસાન બાદ બેઠક ખાલી રહી હતી.
ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્ય અશ્વિન કોટવાલ, રાધનપુરના કોંગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં અને વડગામ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા હતા.
જ્યારે થરાદના પરબતભાઇ પટેલ સાંસદ બનતાં પેટા ચૂંટણી જાહેર થતાં તેમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત વિજયી બન્યા હતા.
બનાસકાંઠા જીલ્લાની વાવ, થરાદ, ધાનેરા, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા, દિયોદર અને કાંકરેજ મળી 9 વિધાનસભાની ચૂંટણી તા. 5 ડિસેમ્બરે યોજાશે અને તા. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. જીલ્લાની 9 વિધાનસભા બેઠકો પૈકી 7 બેઠકો કોંગ્રેસ જ્યારે 2 બેઠકો ભાજપ પાસે છે.
ચૂંટણી જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગી પ્રક્રીયા પણ ઝડપી બનાવાઇ છે. પ્રદેશ ભાજપ દ્વારા બનાસકાંઠામાં કેન્દ્રીય નેતાની નિગરાનીમાં ટીમ બનાવાઇ છે. જો ઉમેદવાર પસંદગીની પ્રક્રીયામાં જોતરાયા છે.
જીલ્લામાં 2612 મતદાન મથકોમાં 10,448 જણનો સ્ટાફ ફરજ બજાવશે. દરેક વિધાનસભા વાઇઝ અલગ-અલગ મતદાન મથકની થીમ ચૂંટણી પંચે નિર્ધારીત કરી છે.
જેમાં આદર્શ મતદાન મથક ઇકો ફ્રેન્ડલી મતદાન મથક દિવ્યાંગજન સંચાલિત મતદાન મથક, 25 થી 30 વર્ષના યુવા કર્મીઓના યુવા મતદાન મથક એક-એક બનાવવામાં આવશે.
જ્યારે દરેક વિધાનસભા દીઠ 7 સખી મતદાન મથકો બનાવવામાં આવશે જેમાં મહીલા કર્મચારીઓ દ્વારા તેનું સંચાલન કરવામાં આવશે.
સરકારી ઇમારતો અને જાહેર જગ્યાઓ ઉપર લગાવેલા બેનર અને હોર્ડીંગ ઉતારવાની કામગીરી હાથ ધરાઇ હતી. કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, ‘2017 ની ચૂંટણી કરતાં આ વખતે પ્રથમવાર 80 વર્ષથી ઉપરના 39,969 ઉમેદવારો માટે પોસ્ટલ બેલેટની ખાસ વ્યવસ્થા કરાઇ છે.
81,515 યુવા મતદારો વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરશે. નોંધનીય છે કે, પ્રથમવાર 80 વર્ષથી ઉપરના 39,000 મતદારો પોસ્ટલ બેલેટથી પણ મતદાન કરી શકશે. ફ્લાઇંગ કોડની ટીમો 27 થી વધારીને 41 કરાવાઇ છે.’
વિધાનસભા ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાં જ આદર્શ આચાર સંહીતા અમલમાં આવી છે. જેના ભાગરૂપે જાહેર સ્થળોએ લગાવેલા હોર્ડીગ બેનર ઉતારી લેવાયા હતા.
જોકે, જીલ્લા કલેકટરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ‘જે કોઇ પ્રાઇવેટ મકાન ઇમારતમાં મંજૂરી લઇને બેનર લગાવ્યું હોય તો તે આચાર સંહીતા ભંગમાં આવતું નથી. આવા સ્થાનો પર મંજૂરી મેળવીને બેનર લગાવી શકાય છે.’
ઉ.ગુ.માં મતદારોની સંખ્યા 834959 વધી | |||
જીલ્લો | 2017 | 2022 | વધારો |
મહેસાણા | 1585789 | 1730345 | 144556 |
પાટણ | 1028368 | 1172653 | 144285 |
બનાસકાંઠા | 2145539 | 2489694 | 344155 |
સાબરકાંઠા | 986694 | 1108722 | 122028 |
અરવલ્લી | 749680 | 829615 | 79935 |
કુલ | 6496070 | 7331029 | 834959 |
વિધાનસભાના મત વિભાગવાર મતદારો | |||
વિધાનસભા | પુરુષ મતદારો | સ્ત્રી મતદારો | કુલ મતદારો |
7-વાવ | 157819 | 144199 | 302019 |
8-થરાદ | 129847 | 118261 | 248208 |
9-ધાનેરા | 140199 | 128452 | 268653 |
10-દાંતા | 132239 | 125413 | 257655 |
11-વડગામ | 149970 | 144770 | 294742 |
12-પાલનપુર | 146202 | 138186 | 284390 |
13-ડીસા | 150428 | 138953 | 289384 |
14-દીયોદર | 133013 | 120148 | 253162 |
15-કાંકરેજ | 152767 | 138712 | 291481 |
કુલ | 1292584 | 1197094 | 2489694 |
આદર્શ આચારસંહીતાના અમલીકરણ અંગે ફરિયાદ સબંધી ટોલ ફ્રી નં.1800-233-2022
કંટ્રોલ રૂમ નંબર-2742-260791 છે.
સ્ટેટીક સર્વેલન્સ ટીમ 90
ફ્લાઇંગ સ્ક્વોર્ડ ટીમ 42
નોડલ ઓફીસરો 22
વિડીયો રેકોર્ડીંગ માટે વિડીયો સર્વેલન્સ ટીમ 23
વિડીયો વ્યુંઇગ ટીમ 9
વયજૂથ મતદારો | |
વયજુથ | મતદારો |
18-19 | 81515 |
20-29 | 626239 |
30-39 | 629310 |
40-49 | 466118 |
50-59 | 333163 |
60-69 | 209892 |
70-79 | 103488 |
80+ | 39969 |
કુલ | 2489694 |
કુલ પૈકીPWD | 24280 |
2017 ની ચૂંટણીમાં થયેલું મતદાન | ||||
જિલ્લો | બેઠક | મતદારો | મતદાન | ટકાવારી |
મહેસાણા | 7 | 1585789 | 1150518 | 72.55% |
પાટણ | 4 | 1028868 | 716850 | 69.67% |
બનાસકાંઠા | 9 | 2154539 | 1628903 | 75.92% |
સાબરકાંઠા | 4 | 986694 | 751058 | 76.12% |
અરવલ્લી | 3 | 749680 | 528092 | 70.44% |
કુલ | 27 | 6496570 | 4775421 | 73.51% |
2017 માં કોને કેટલા મત મળ્યા | |||
જિલ્લો | કોંગ્રેસ | ભાજપ | અન્ય (નોટા સાથે) |
મહેસાણા | 503104 | 539717 | 107697 |
પાટણ | 342855 | 293693 | 80302 |
બનાસકાંઠા | 658699 | 717657 | 252547 |
સાબરકાંઠા | 343477 | 351422 | 56159 |
અરવલ્લી | 258686 | 236728 | 32678 |
બનાસકાંઠાની સ્થિતિ
કુલ- 9 વિધાનસભા મત વિસ્તારો
2612 મતદાન મથકો
કુલ મતદારો 2489,694
દિવ્યાંગ મતદારો 24,280
કુલ ચૂંટણી સ્ટાફ-10,448 મહીલા કર્મી 2907
હેલ્પ લાઇન નંબર 1950
આ અંગે જીલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, ‘રોકડ વ્યવહાર અને ચીજવસ્તુઓની હેરાફેરી અટકાવવા માટે સ્ટેટીક સર્વેલન્સ ટીમની રચના કરવામાં આવેલી છે.
રોકડ અને અન્ય વસ્તુઓ લઇને જતી વખતે આધાર-પૂરાવા તરીકે માલ વેચ્યા અને ખરીદીનું બીલ વગેરે રાખવામાં આવે તે જરૂરી છે.’
આ અંગે જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, ‘રાજસ્થાન રાજ્યને અડીને આવેલા જીલ્લામાં સરહદી વિસ્તારોમાં આ વખતે 30 ચેકપોસ્ટો કાર્યરત કરાઇ છે. જેમાં પોલીસની સાથે 13 આઇ.ટી.બી.પી. ની ટીમ તૈનાત રહેશે.
માદક પદાર્થો અને શંકાસ્પદ વસ્તુઓની હેરફેર થતી જણાય તો પોલીસને વોટ્સએપ નંબર 9913161000 ઉપર નાગરિકો માહિતી આપી શકે છે. લાયસન્સ ધારક હથિયારો એક અઠવાડીયામાં જમા લેવામાં આવશે.’
2022 ની વિધાનસભા ચૂંટણી 2017 કરતાં અલગ જ માહોલ થઇ રહી છે. 2017 ની ચૂંટણીમાં સંપૂર્ણ રાજ્યની સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ પાટીદાર અનામત આંદોલન જ મુખ્ય મુદ્દો હતો. અન્ય મુદ્દાઓ ગૌણ થઇ ગયા હતા. 2022 ની ચૂંટણીમાં આ ચૂંટણી મુદ્દો નથી.
ભાજપ ઉત્તર ગુજરાતમાં વિકાસના મુદ્દા પર જ ચૂંટણી લડશે. કોંગ્રેસ, આમ આદમી અને અન્ય પાર્ટીઓ ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો અને સરકારી ભરતીની પરીક્ષામાં પેપર ફૂટવાના કૌભાંડો જેવા મુદ્દાઓ પર ચૂંટણી લડશે.
ઉત્તર ગુજરાતના 5 જીલ્લાની વાત કરીએ તો બનાસકાંઠામાં ગૌશાળા સંચાલકો, ખેડૂતોના સિંચાઇના પ્રશ્નો લાંબી લડત બાદ મહદઅંશે ઉકેલાયા છે. સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં પણ આ મોટા મુદ્દા છે.
મહેસાણા જીલ્લામાં ખેડૂતોના પ્રશ્નો અન્ય જીલ્લાની જેમ જ છે. પણ સરકારી ભરતીમાં ભ્રષ્ટાચાર અને આરોગ્ય કર્મચારીઓથી લઇ જૂદા-જૂદા સરકારી કર્મચારીઓના આંદોલન પણ મુદ્દા છે.
પાટણ જીલ્લાની વાત કરીએ તો ઔદ્યોગિક વિકાસ હજી પણ આ જીલ્લા માટે એક મોટો મુદ્દો છે. છેલ્લા 2 માસમાં ઉત્તર ગુજરાતમાં વડાપ્રધાને જેટલાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં છે. ભાજપ આને લઇને જ પ્રજા સમક્ષ જશે.
પણ દર ચૂંટણીની જેમ જ્ઞાતિવાદ ફરી મહત્વનો મુદ્દો તમામ પાર્ટીઓ માટે રહેશે. દરેક સમાજે વસ્તી પ્રમાણે ટીકીટની માંગણી કરી છે. એટલે ટીકીટ વિતરણ સુધી બીજા મુદ્દાઓ એક તરફ રહી જશે અને જ્ઞાતિવાદનો મુદ્દો જ વધારે ચાલશે.
From-Banaskantha update