ઢાળીયા તાત્કાલીક નહી ખોલાય તો ખેડૂતોને નુકશાન થશે
ડીસાના નવાથી ખારેડા ગામમાં ગ્રામ્ય માર્ગ બનાવતાં કોન્ટ્રાક્ટર દ્વારા નવાથી કોઇટા અને વાણા ગામમાં જતી દાંતીવાડા સિંચાઇ યોજનાની સબમાઇનોર કેનાલના ઢાળીયા બ્લોક કરી દેવાતાં ખેડૂતોને સિંચાઇ માટે
તકલીફ પડી રહી છે. જેથી મંગળવારે આ ઢાળીયા ખુલ્લા કરાવવા કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપી માંગ કરાઇ છે.
ડીસા તાલુકાના નવાથી ખારેડા જવાના માર્ગ ઉપર દાંતીવાડા સિંચાઇ યોજનાની કેનાલ આવેલી છે. થોડા સમય અગાઉ નવાથી ખારેડાનો ગ્રામ્ય માર્ગ બનાવતાં હતા.
ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડ પરથી પસાર થતી વાણા માઇનોર અને કોઇટા સબમાઇનોર કેનાલના ઢાળીયા બ્લોક કરી દેવાયા હતા. જેથી આ માઇનોર અને સબમાઇનોર કેનાલમાંથી પિયત કરતાં ખેડૂતો સુધી સિંચાઇ યોજનાનું પાણી પહોંચી શકે તેવી સ્થિતિ નથી.
આ અંગે નવા ગામના ખેડૂત અગ્રણી જોગાભાઇ દેસાઇએ અનેક વખત દાંતીવાડા સિંચાઇ યોજનાના કાર્યપાલક ઇજનેર તથા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી આ ઢાળીયા ખોલવામાં આવ્યા નથી.
જેથી હવે ચાલુ રવિ સિઝનમાં દાંતીવાડા સિંચાઇ યોજના દ્વારા ખેડૂતોને 5 વખત પિયત માટે પાણી આપવાનું નક્કી કરાયું છે. ત્યારે આ ઢાળીયા ખુલ્લા નહીં થાય તો અનેક ખેડૂતોની જમીન પિયત વગરની પડી રહેશે અને આગળ પણ પાણી નહીં જઇ શકે તેમજ ખેડૂતોને મોટું નુકશાન થશે.
જેથી ખેડૂતો દ્વારા દાંતીવાડા સિંચાઇ યોજનાના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપી આ માઇનોર અને સબમાઇનોર કેનાલના ઢાળીયા તાત્કાલીક ખુલ્લા કરવાની અથવા યોગ્ય રસ્તો કરવાની માંગ કરવામાં આવી છે.
જો સિંચાઇ વિભાગ દ્વારા આ અંગે તાત્કાલીક કાર્યવાહી નહીં થાય અને ખેડૂતોને નુકશાન થશે. તો તેની તમામ જવાબદારી સિંચાઇ વિભાગની રહેશે તેમ પણ આવેદનપત્રમાં જણાવ્યું છે.
From-Banaskantha update