રહેમ નજર હેઠળ કતલખાનાઓ ચાલતા હતા તે અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ કરાઇ
ગુજરાતમાં ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાનાઓ મામલે ડીસાના જાગૃત નાગરિકે હાઇકોર્ટમાં પી.આઇ.એલ. દાખલ કરતાં કાર્યવાહી શરૂ કરાઇ છે.
અરજદારની માંગ છે કે, ‘અત્યાર સુધી કોની રહેમ નજર હેઠળ કતલખાનાઓ ચાલતા હતા તે અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ કરી છે.’
બનાસકાંઠા સહીત સમગ્ર ગુજરાતમાં બે પાંચ નહીં પરંતુ હજારો ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા છે. જેમાં રોજબરોજ અનેક નિર્દોષ પશુઓની કત્લેઆમ થાય છે.
જે મામલે ડીસાના જાગૃત નાગરિક અને જાણીતા વકીલ ધર્મેન્દ્ર ફોફાણીએ ગેરકાયદેસર ચાલતાં કતલખાનાઓ બંધ કરાવવા માટે ઝૂંબેશ શરૂ કરી છે.
જેમાં સૌપ્રથમ તેમણે કતલખાનાઓ બાબતે માહિતી એકત્ર કરી સ્થાનિક કક્ષાએ લેખિત રજૂઆતો કરી હતી. ત્યારબાદ તેમણે 2018 માં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.
તેમ છતાં પણ ગેરકાયદેસર કતલખાના સંચાલકો સામે કોઇ જ કાર્યવાહી ન થતાં આખરે અરજદાર ધર્મેન્દ્રે હાઇકોર્ટમાં પી.આઇ.એલ. દાખલ કરતાં આ મામલે હવે કાર્યવાહી શરૂ થઇ છે.
આ અંગે અરજદારે જણાવ્યું હતું કે, ‘સુપ્રિમ કોર્ટે 2012 માં સ્ટેટ કમિટી ફોર સ્લોટર હાઉસની રચના કરી હતી અને તે કમિટીની ગાઇડલાઇન પ્રમાણે કતલખાનાઓ ચલાવવા માટે લાયસન્સ આપવાના હતા.
પરંતુ આ કમિટી અને તેને સંલગ્ન ફૂડ સેફ્ટી ડીપાર્ટમેન્ટ, પોલીસ વિભાગ, પોલ્યુશન વિભાગ અને ટ્રાન્સપોર્ટેશન વિભાગ ગેરકાયદેસર કતલખાના મામલે કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી ન હતી.
જેથી ફરિયાદ બાદ હાઇકોર્ટે આ મામલે સરકારી તંત્ર પાસે કમિટીએ અત્યાર સુધી કરેલી કામગીરીની વિગતો મંગાવી છે.
પરંતુ તે વિગતો પણ વિશ્વસનીય ન લાગતાં હવે જીલ્લાકક્ષાએ જ્યુડીશિયલ વિભાગ મારફતે આ તમામ માહિતી એકત્ર કરી આપવા જણાવ્યું છે.’
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘સરકારી આંકડા મુજબ અત્યારે ગુજરાતમાં માત્ર 8 જ કતલખાનાઓ કાયદેસર છે. જેમાં એક કતલખાનું અત્યારે સીલ થયેલું છે.
બાકીના 3 કતલખાના પાસે ફૂડ સેફ્ટીના લાયસન્સ નથી. એટલે માત્ર 4 કતલખાનાઓ જ કાયદેસર કહી શકાય. તેમ છતાં ગુજરાતમાં હજારો નહીં પરંતુ લાખો કતલખાનાઓમાં રોજ નિર્દોષ પશુ-પક્ષીઓની
ખુલ્લેઆમ હત્યા થઇ રહી છે. જેથી અરજદારે આ કતલખાનાઓ કોની રહેમ નજર હેઠળ ચાલે છે. તે તમામ અધિકારીઓ અને વિભાગ સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.’
From-Banaskantha update