અર્બુદા સેના સરકાર સામે હલ્લાબોલ કરશે
ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં આવતીકાલથી વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના સરકાર સામે હલ્લાબોલ શરૂ કરશે.
જેમાં આવતીકાલે તા. 20 મીએ ઉપવાસ, ધરણાં અને જેલભરો સહીતના કાર્યક્રમો યોજી તા. 30 મીએ ગાંધીનગરમાં 3,00,000 થી વધુ લોકો ભેગા થઇ સરકાર સામે વિરોધ દર્શાવશે.
પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીની અટકાયત બાદ સમગ્ર ગુજરાતમાં ચૌધરી સમાજમાં સરકાર સામે ભારે આક્રોશ ભભૂક્યો છે.
અત્યાર સુધી અર્બુદા સેનાએ 92 જેટલી સભાઓ યોજી વિરોધ દર્શાવ્યો છે. ત્યારબાદ હવે આવતીકાલે તા. 20 મીથી અર્બુદા સેના દરેક તાલુકા મથકે અને ગામે ગામ ઉપવાસ પર બેસશે, ધરણાં યોજશે અને જેલભરો કાર્યક્રમ કરશે.
અંતમાં સરકારની આંખો ઉઘાડવા તા. 30 મીએ ગાંધીનગરમાં 3,00,000 થી પણ વધુ ચૌધરી સમાજના લોકો ભેગા થઇ મહાપંચાયત યોજી સરકાર સામે આક્રોશ વ્યક્ત કરશે.
આ અંગે અર્બુદા સેનાના પ્રદેશ પ્રવક્તા હરજીતભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘સરકાર તેમ છતાં પણ અમારી વાત નહીં માને તો અમે વિધાનસભાની ચૂંટણીમાં સરકારને સમાજની તાકાત બતાવીશું.’
From-Banaskantha update