ડીસા: ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવતા બનાસકાંઠા જિલ્લાના ડીસા અને લાખણી તાલુકાના નાંણી ખાતે રૂ.1000 કરોડના ખર્ચથી નિર્માણ પામનાર એરબેઝ રનવે અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આવતીકાલ તા. 19 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાનાર ડિફેન્સ એકસ્પો કાર્યક્રમમાં વર્ચ્યુઅલી ભૂમિપૂજન કરવામાં આવશે.
લાખણી તાલુકાના નાંણી ખાતે આવતીકાલ બુધવારે સવારે 9 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઇ મોદી, સંસદ સભ્ય અને ધારાસભ્યો સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે.
આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા બનાસકાંઠા જિલ્લામાં કુલ-4500 એકર જમીનમાં રૂ. 1000 કરોડના ખર્ચથી આકાર પામનાર આ એરફોર્સ સ્ટેશન 2024 સુધીમાં તૈયાર થશે. ભારત-પાકિસ્તાન સરહદથી 130 કિ.મી.નું અંતર ધરાવતું આ એરબેઝ વ્યૂહાત્મક રીતે ખુબ ઉપયોગી સાબિત થશે અને સરહદી સુરક્ષામાં વધારો થશે.
From – Banaskantha Update