5,620 લાભાર્થીઓને રૂ.109.88 કરોડની સાધન સહાયનું વિતરણ કરાયું
પાલનપુર માર્કેટયાર્ડમાં શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને શુક્રવારે જીલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં બનાસકાંઠા જીલ્લાના 5,620 લાભાર્થીઓને રૂ.109.88 કરોડની સાધન સહાયનું વિતરણ કરાયું હતું.
આ અંગે મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર દેશ ભારત છે. આ લોકશાહી શાસનમાં લોકોને એમના અધિકારો સરળતાથી મળે રહે તે એમનો હક્ક છે.
પરંતુ આ હક્કો ભૂતકાળમાં મળતા ન હતા એટલે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ કલ્યાણ મેળાઓ શરૂ કરાવીને ગરીબોને તેમના હક્કનું આપવા ગુજરાતમાં આગવી પહેલ કરાવી હતી.
સરકારના કર્મચારીઓ દ્વારા લાભાર્થીઓની યાદી તૈયાર કરી તેમને સામેથી લાભો આપવા દેશમાં પ્રથમ વખત પ્રયાસ કરવામાં આવ્યો છે.
આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબોના જીવનમાં પરિવર્તન લાવવા રાજ્યમાં 1.5 કરોડ લોકોને રૂ. 45 હજાર કરોડની માતબર સહાય અપાઇ છે.’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આપણું ગુજરાત વિકાસની નવી ઉંચાઇઓ સર કરી રહ્યું છે. ગુજરાત સરકારે છેલ્લા 20 વર્ષમાં ગરીબોના કલ્યાણ માટે અનેક કાર્યો કર્યાં છે.
એટલે જ આ સરકાર અને પ્રજા વચ્ચે વિશ્વાસનો અતુટ સેતુ સર્જાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જીલ્લાના છબનપુર ગોધરાથી 13 માં તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.
જેનું જીવંત પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવો અને લાભાર્થીઓએ નીહાળ્યું હતું. મંત્રીના હસ્તે ‘પંચાયતી રાજની આગેકૂચ’ કોફી ટેબલ બુકનું વિમોચન કરાયું હતું.
From-Banaskantha update