દિવાળીના તહેવારોમાં સ્વચ્છતા જાળવવામાં ચૂક થશે તો કડક કાર્યવાહી કરાશે
ડીસા નગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઇ શહેર સ્વચ્છ અને સુંદર બને તે માટે નગરપાલિકાના મુખ્ય બજાર વિસ્તારોમાં સ્વચ્છતાના નિયમોનો ભંગ કરતાં 481 વેપારીઓને નોટીસ ફટકારી હતી. સંપૂર્ણ સ્વચ્છતા જાળવવા અને જો કોઇ તેનો ભંગ કરશે તો કડક કાર્યવાહી કરવાની તાકીદ કરી છે.
ડીસા શહેરના મુખ્ય બજાર, વિસ્તારો, કોમર્શિયલ ઝોન અને જાહેર રસ્તાં ઉપર વેપારીઓ, હોટલ, નાસ્તા ગૃહોના સંચાલકો અને લારીગલ્લા, ફેરીયાઓ દ્વારા જાહેરમાં કચરો નાખી ગંદકી ફેલાવવામાં આવતી
હોવાનું ધ્યાને આવતાં આગામી દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં સ્વચ્છતા જળવાઇ રહે અને શહેર સુંદર બને તે માટે ગંદકી ફેલાવતાં વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી છે.
આ અંગે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ જણાવ્યું હતું કે, ‘શહેરના મુખ્ય બજાર વિસ્તારોમાં વેપારીઓ પોતાનો કચરો બહાર ન નાખે અને દુકાનનો માલ-સામાન બહાર ગોઠવી પબ્લિકને
નડતરરૂપ ન બને. હોટલ, નાસ્તા ગૃહોના સંચાલકો સ્વચ્છતા જાળવે તેમજ તેઓનો વધેલો માલ એંઠવાડ જાહેર રસ્તા પર ન ફેંકે. લારી, ગલ્લાવાળાઓ પણ ટ્રાફીકને અડચણરૂપ થાય તે રીતે અસ્ત-વ્યસ્ત ન ઉભા રહે તે માટે નગરપાલિકા દ્વારા કુલ 481 વેપારીઓને નોટીસો આપવામાં આવી છે.’
નોટીસમાં સ્વચ્છતાના નિયમોનો ભંગ કરાશે તો નગરપાલિકા દ્વારા શું પગલાં લેવાશે તેનો પણ ઉલ્લેખ કરાયેલો છે. જયારે કોઇ વેપારી દ્વારા વારંવાર સ્વચ્છતાના નિયમોનો ભંગ કરાશે તો તેમના લાયસન્સ રદ
કરવાની જોગવાઇ પણ તેમાં હોવાનું તેમણે જણાવ્યું હતું. નોટીસ પાઠવવાનો હેતુ વેપારીઓ પોતાની રીતે સ્વચ્છતા જાળવે અને શહેર સ્વચ્છ તેમજ સુંદર બને તે માટેનો છે. આ અંગે વેપારીઓ અને લોકોનો સહીયારો પ્રયાસ થાય તે માટે વેપારીઓને તાકીદ કરાઇ છે.
From-Banaskantha update