અંબાજીમાં શરદપૂર્ણિમાના દિવસે રવિવારે પોલીસે ગાડીને પ્રવેશવા ન દેતાં તેની અદાવત રાખી મોડીરાત્રે વિરમપુર નજીક ટોળાએ પરત ફરી રહેલા પોલીસ કર્મીઓની ગાડીને ઘેરી લઇ તોડફોડ કરી હુમલો કરતાં 2 પોલીસ કર્મીઓ અને એક અન્ય વ્યકિતને ઇજાઓ થઇ હતી. જ્યાં સ્વબચાવમાં પોલીસે કરેલી લાઠીચાર્જમાં શખ્સોને પણ ઇજા થવા પામી હતી. આ અંગે અમીરગઢના ગવરાના 7 શખ્સો સામે ગૂનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
અંબાજીમાં શરદપૂર્ણિમાને દિવસે ટ્રાફિક નિયમનમાં અમીરગઢ તાલુકાના ગવરા ગામના શખ્સોની ઇકો ગાડી પોલીસ કર્મીઓએ રોકાવી અંબાજીમાં પ્રવેશ આપ્યો ન હતો. આથી ભીમા જુમાભાઇ ધ્રાંગી, રાજુ ભુરાભાઇ ગમાર, વાઘા રાજાભાઇ ગમાર, રાજુ ભીખાભાઇ ગમાર, નાથા જગાભાઇ ગમાર, જયંતિ લલ્લુભાઇ માણસા અને ભેરા લલ્લુભાઇ માણસાએ મનદુ:ખ રાખી રવિવારે મોડીરાત્રે વિરમપુર નજીક પોલીસ કર્મીઓ ખાનગી કારમાં પસાર થઇ રહ્યા હતા. ત્યારે બે વાહનોને ઉભા રખાવી ઘેરી લીધા હતા અને લોખંડની પાઇપ, લાકડીઓ વડે કારના કાચ તોડી નાખ્યા હતા.
આ હુમલામાં પોલીસ કર્મી જયેશભાઇ, હર્ષદભાઇ તેમજ વાહનમાં બેઠેલા ધનપુરા ગામના ભલાજી અમરાજી રબારીને ઇજાઓ થઇ હતી. મોડી રાત્રે બનેલી આ ઘટનાને લઇ ભારે ઉત્તેજના પ્રસરી ગઇ હતી. જ્યાં પોલીસન કાફલો દોડી આવ્યો હતો. અને ઇજાગ્રસ્તોને 108ના પાયલટ ભવાજી ઠાકોર, ઇએમટી વિજયભાઇએ પાલનપુર સિવિલ માં સારવાર અર્થે ખસેડયા હતા. આ અંગે વિપુલકુમારે ફરિયાદ નોંધાવતાં પોલીસે 7 શખ્સો સામે ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
અંબાજીમાં વાહન ન પ્રવેશવા દેવાનું મનદુ:ખ રાખી સાત શખ્સોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે. ફરિયાદ નોંધાતા ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સારવાર બાદ બાકીના આરોપીની અટકાયત કરવામાં આવશે. – એમ. આર. બારોટ (પીઆઇ, અમીરગઢ)
પોલીસના વાહનોની તોડફોડ કરી કર્મચારીઓ ઉપર હુમલાની ઘટનામાં પોલીસે પણ સ્વરક્ષણ માટે લાઠીચાર્જ કર્યો હતો. જેમાં ભીમા જુમાભાઇ ધ્રાંગી અને રાજુ ભીખાભાઇ ગમારને ઇજાઓ થતાં તેમને પણ સારવાર અર્થે ખસેડાયા હતા.
From – Banaskantha Update