ઇજાગ્રસ્ત બસ ચાલકને સારવાર અર્થે ડીસાની હોસ્પિટલમાં ખસેડયો : બાઇક ચાલક પથ્થર મારી ત્યાંથી ફરાર થઇ ગયો
ડીસામાં ગાયત્રી મંદિર નજીક સોમવારે ભરચક ટ્રાફીકમાં બસ અડી જતાં ઉશ્કેરાયેલા બાઇક ચાલકે બસ ચાલકને પથ્થર મારી લોહી લુહાણ કર્યો હતો.
આ ઘટનાને પગલે આજુબાજુના લોકોએ ઇજાગ્રસ્ત બસ ચાલકને સારવાર અર્થે ડીસાની હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યારે બાઇક ચાલક પથ્થર મારી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, પાલનપુરથી રાધનપુર તરફ જઇ રહેલી બસ ડીસામાં ગાયત્રી મંદિર નજીકથી પસાર થઇ હતી.
તે દરમિયાન ભરચક ટ્રાફીકના કારણે બસ જરા આગળ જઇ રહેલા બાઇકને અડી ગઇ હતી. જેથી બાઇક ચાલક એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે તરત જ પથ્થર લઇ બસ ચાલકના માથામાં ઘા કર્યો હતો.
પથ્થર વાગતાં જ બસ ચાલક લોહી લુહાણ થઇ ગયો હતો. આ ઘટનાને પગલે આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા અને લોહી લુહાણ હાલતમાં બસ ચાલક સુનિલ પ્રજાપતિને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
જ્યારે પથ્થર માર્યાં બાદ બાઇક ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બસમાં સવાર 40 મુસાફરો હેરાન થાય તે માટે ડીસા એસ.ટી. વિભાગ દ્વારા તાત્કાલીક અન્ય ડ્રાઇવરની વ્યવસ્થા કરી બસ રાધનપુર તરફ રવાના કરાઇ હતી.
From-Banaskantha update