સરકાર કાયમી સહાયની વ્યવસ્થા નહીં કરે ત્યાં સુધી રોજ વિવિધ કાર્યક્રમો આપી સરકાર સામે દેખાવો કરાશે
રૂ. 500 કરોડની સહાયના મુદ્દે ગૌ સેવકોનું આંદોલન બીજા દિવસે પણ જારી છે. ગઇકાલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યાં બાદ શનિવારે ડીસામાં જીલ્લાના ગૌ સેવકો ધરણાં પર ઉતર્યાં હતા.
અને જ્યાં સુધી સરકાર કાયમી સહાયની વ્યવસ્થા નહીં કરે ત્યાં સુધી રોજ વિવિધ કાર્યક્રમો આપી સરકાર સામે દેખાવો કરાશે.
સરકારે જાહેરાત કર્યાં બાદ ગૌશાળા અને પાંજરાપોળને સહાય ન ચૂકવતાં બનાસકાંઠા સહીત સમગ્ર ગુજરાતમાં ગૌસેવકોમાં ભારે આક્રોશ ભભૂક્યો હતો.
ગઇકાલે ગૌસેવકોએ શરૂ કરેલ ઉગ્ર આંદોલન બીજા દિવસે પણ ચાલુ રહ્યું છે. શનિવારે ડીસામાં સાંઇબાબા મંદિર આગળ જીલ્લાના ગૌસેવકો અને સાધુ-સંતો સરકાર સામે મોરચો માંડી ધરણાં પર બેસી ગયા હતા.
ગૌ સેવકોના આંદોલનને ભારતીય કિસાન સંઘે પણ ટેકો જાહેર કર્યો છે. જયારે અંબાજીમાં આવી રહેલા પી.એમ. નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ગૌ સેવકોની સાથે કિસાન સંઘના લોકો પણ દેખાવો કરી સહાય માટે રજૂઆત કરશે.
ગૌ સેવકો દ્વારા કોઇ જલદ કાર્યક્રમો ન થાય અને અફડા-તફડી ન ફેલાય તે માટે શનિવારે વહેલી સવારથી જ ધરણાં સ્થળ આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
આ અંગે ગૌ સેવક આગેવાન કિશોરભાઇ દવે અને જગદીશભાઇ માળીએ જણાવ્યું હતું કે, ‘જ્યાં સુધી સરકાર અમને કાયમી સહાયની વ્યવસ્થા નહીં કરી આપે ત્યાં સુધી દરરોજ અમે વિવિધ કાર્યક્રમો કરી
સરકાર સામે વિરોધ દર્શાવતાં રહીશું. શનિવારે અમે ધરણાં પર ઉતર્યાં છીએ અને આવતીકાલે 101 લોકો મુંડન કરી સરકારનું બેસણું રાખી વિરોધ દર્શાવીશું.’
From-Banaskantha update