રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળોને રૂ.500 કરોડની સહાયની જાહેરાત કર્યાના 6 માસ થયા બાદ પણ સહાય પેટે એક પણ રૂપિયો ન ચૂકવતા રાજ્યભરમાં ગૌમાતાના લાભાર્થે અપાયેલા બંધના એલાનને ડીસામાં ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે.
ડીસામાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકો સહિત ગૌ પ્રેમીઓએ રેલીયોજી નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આજે ડીસામાં મોટાભાગના વેપારી એસોસિએશને બંધને ટેકો જાહેર કરતા સમગ્ર શહેરના બજારો બંધ રહ્યા હતા.
કોરોના મહામારી બાદ રાજ્યભરમાં ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં આશ્રય લઈ રહેલા અબોલ જીવો માટે દાનનો પ્રવાહ ઘટી જતા ગૌશાળા પાંજરાપોળ સંચાલકોને પશુઓની નિભાવણી મુશ્કેલ ભરી બની ગઈ હતી. જેમાં સરકારે આ વર્ષે બજેટમાં ગૌશાળા પાંજરાપોળને સહાય કરવા રૂપિયા 500 કરોડની જોગવાઈ કરી હતી.
જોકે 6 માસ બાદ હજુ પણ સરકારે સહાય પેટે એક પણ રૂપિયો ચૂકવ્યો નથી. ગૌશાળા પાંજરાપોળ સંચાલકો છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે સતત સરકારનું ધ્યાન દોરવા છતાં સરકારના પેટનું પાણી ન હલતા રાજ્યભરની તમામ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ ગૌમાતાઓના લાભાર્થે આજે બંધનું એલાન આપ્યું છે.
ત્યારે બનાસકાંઠાના વેપારી મથક ગણાતા ડીસામાં પણ શહેરના મોટા ભાગના વેપારી એસોસિએશનએ બંધને ટેકો જાહેર કરતા સમગ્ર શહેરના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનો એ પણ બંધને પોતાનું સમર્થન આપ્યુ હતુ. હાલમાં ગુજરાતમાં કચ્છ બાદ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 170 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે જેમાં 80,000 જેટલા પશુઓ આશ્રય લઈ રહ્યા છે.
ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ બંધના એલાનને સારો પ્રતિસાદ મળ્યો હતો. ડીસામાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકોએ યોજેલી રેલીમાં જીવદયા પ્રેમીઓ તેમજ વિવિધ સંગઠનના વિવિધ વેપારી એસોસિએશનના હોદ્દેદારો પણ જોડાયા હતા. ડીસાના રિસાલા મંદિરથી રેલી યોજી નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સરકાર તાત્કાલિક સહાય નહીં ચૂકવે તો હજુ પણ જલદ કાર્યક્રમો આપવામાં આવશે તેમજ રાજ્યભરની ગૌશાળા પાંજરાપોળની ચાવીઓ સરકારને સોંપી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
From – Banaskantha Update