બોક્સની કિંમત 100 ગ્રામના રૂ. 25 રહેશે : દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવી માં અંબાના ચરણોમાં શિશ નમાવતાં હોય છે
શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબાનું ધામ અંબાજી વિશ્વભરમાં પ્રખ્યાત છે. માં અંબાના ધામ અંબાજીમાં દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવી માં અંબાના ચરણોમાં શિશ નમાવતાં હોય છે.
તો સાથે માં અંબાના આશિષ રૂપે મોહન થાળનો પ્રસાદ મંદિરમાંથી સાથે લઇ જતાં હોય છે. અગાઉ અંબાજી મંદિરમાં 3 સાઇઝમાં કાગળ પેકીંગમાં મોહન થાળ પ્રસાદનું વેચાણ થતું હતું.
ત્યારે શનિવારથી અંબાજી મંદિરમાં 1 જ સાઇઝના પોલીમર બોક્સમાં મોહન થાળ પ્રસાદનું વિતરણ ચાલુ કરાયું છે. 100 ગ્રામના પોલીમર બોક્સ પેકેટ જેની કિંમત રૂ. 25 રાખવામાં આવી છે. અંબાજી મંદિર ટ્રસ્ટ વતી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પોલીમર બોક્સ રીસાઇક્લિંગ હોવાના કારણે પર્યાવરણને પણ કોઇ નુકશાન નહીં થાય તો સાથે સાથે કાગળના બોક્સમાં મોહન થાળનો પ્રસાદ હોવાથી ઘી ચૂસી લેવાના કારણે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પોલીમર બોક્સમાં મોહન થાળ પ્રસાદનું વિતરણ ચાલુ કરાયું છે.
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી તરફથી ભક્તોના હીતમાં ઉત્તમ અને સુંદર નિર્ણય લેવાતાં માઇ ભક્તોમાં ખુશીની લહેર પ્રસરી છે. તો આવનાર સમયમાં અંબાજી મંદિર ટ્રસ્ટ વતી પોલીમર બોક્સ બીજા સાઇઝમાં પણ ઉપલબ્ધ થશે.
From-Banaskantha update