વર્ષ-2019 માં 16.34 લાખની સામે આ વર્ષે 20.11 લાખ યાત્રિકોએ દર્શન કર્યાં : વર્ષ-2019 માં રૂ. 3.67 કરોડની તુલનાએ આ વર્ષે રૂ. 4.41 કરોડ દાન આવ્યું : ભાદરવાના ધોમધખતા 39 ડિગ્રી આકરા તાપમાં પણ ભક્તોની શ્રદ્ધા અકબંધ
યાત્રાધામ અંબાજીમાં ભરાયેલો ભાદરવી પૂનમનો મહામેળો શુક્રવારે ચરમ સીમાએ પહોંચ્યો હતો. ધોમધખતા ભાદરવાના 39 ડિગ્રી આકરા તાપમાં પણ દૂરદૂરથી પગપાળા સંઘો લઇને આવતાં ભક્તોની
શ્રદ્ધામાં તસુભાર પણ ઓટ ન દેખાઇ હતી. શુક્રવારે 5 માં દિવસે સાંજ સુધીમાં 3.63 લાખ માઇભક્તોએ માં અંબાના ચરણોમાં શિશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને લઇ વર્ષ-2020 અને 2021 માં ભાદરવી પૂનમનો મેળો મોકૂફ રખાયો હોઇ આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. જયારે દાનની આવકથી ભંડારો પણ છલકાયો હતો. ટેમ્પલ ટ્રસ્ટના આંકડા મુજબ, વર્ષ-2019 માં 7 દિવસનો મેળો ભરાયો હતો.
જેમાં ચૌદસ સુધી એટલે કે 6 દિવસમાં 16,34,891 લોકોએ દર્શન કર્યાં હતા અને રૂ. 3,67,36,772 દાનરૂપે આવક થઇ હતી. જેની સરખામણીમાં આ વર્ષે મેળાના 5 દિવસમાં 20,11,612 યાત્રિકોએ દર્શન કર્યાં હતા અને રૂ. 4,41,71,173 નું દાન મળ્યું છે. એટલે કે, યાત્રિકોની સાથે દાનનો પ્રવાહ પણ વધ્યો છે.
અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા અને સુચારૂ આયોજન વચ્ચે શરૂ થયેલા ભાદરવી મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓની શક્તિની ઉપાસના થકી આરાસુરની ગીરીકંદરાઓ ગૂંજી ઉઠી છે. દૂરદૂરના અંતરેથી શરૂ થયેલો ભક્તોનો પ્રવાહ અંબાજીમાં ઠલવાઇ ચૂક્યો છે.
અસ્ખલિત વહેતાં ઝરણાંની જેમ આગળ વધતાં ભક્તોનો મોટો જથ્થો પૂનમના એક દિવસ પૂર્વે શુક્રવારે યાત્રાધામમાં આવી પહોંચ્યો છે. સાંજે અંબાજીથી 25 કિ.મી.ના અંતરે શ્રદ્ધાળુઓનો છૂટો છવાયો પ્રવાહ જોવા મળી રહ્યો છે.
માર્ગો પર શ્રદ્ધાળુઓ જેમ અંબાજી તરફ આગળ વધતાં ગયા તેમ તેમ પાછળના સેવા કેમ્પો આટોપાઇ રહ્યા છે. એસ.ટી. તંત્રની પરિવહન વ્યવસ્થાને લઇ શ્રદ્ધાળુઓ માં અંબાના ચરણ પખાળી વતનની વાટ પકડી લેતાં સાંજે ધામમાં યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
શનિવારે પૂર્ણિમાને લઇ નિત્ય પૂનમિયા દર્શનાર્થીઓથી અંબાજી ધામ ઉભરાયું હતું. મેળાના 5 દિવસે શુક્રવારે 3,63,102 માઇભક્તોએ માનાં ચરણમાં માથું ટેકવી ધન્યતા અનુભવી હતી.
અમદાવાદ વાસણાના પદયાત્રીઓ તિરંગાની ધજા સાથે શુક્રવારે અંબાજી ધામમાં પ્રવેશતાં જ જાણે માં અંબાની ભક્તિ સાથે દેશ પ્રેમ છલકાતો જોવા મળ્યો હતો.
રાજકોટના રજવાડી સંઘ પદયાત્રાના 21 વર્ષ પૂર્ણ કર્યાં હતા. શુક્રવારે ચાચર ચોકમાં ટ્રેડીશનલ ડ્રેસ પરિધાન કરી ગરબાની રમઝટ સાથે માતાજીના મંદિરે ધ્વજારોહણ કર્યું હતું.
ભાદરવી પૂનમના મેળામાં દાનનો પ્રવાહ | ||
દિવસ | વર્ષ 2019 | વર્ષ 2022 |
પ્રથમ | 61,20,826 | 83,70,886 |
બીજો | 81,70,900 | 1,00,56,092 |
ત્રીજો | 64,94,859 | 98,75,614 |
ચોથો | 65,91,768 | 98,59,223 |
પાંચમો | 47,98,223 | 60,09,358 |
છઠ્ઠો | 45,60,196 | 0 |
કુલ | 3,67,36,772 | 4,41,71,173 |
3,63,102-યાત્રિકોએ દર્શન કર્યાં
1,76,500- પ્રસાદ પેકેટ વિતરણ
60,09,358-રૂપિયા ભંડાર સહીત આવક
92,624-SMS થી લોકોને માહિતી અપાઇ
57,632-શ્રદ્ધાળુએ એસ.ટી. બસમાં મુસાફરી કરી
34,380-માઇભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો
28,478-દર્દીને મેળા દરમિયાન સારવાર અપાઇ
5638-શ્રદ્ધાળુઓ ઉડન ખટોલામાં બેઠા
3520-ચીકી પ્રસાદનું વિતરણ કરાયું
1057-યાત્રિકો માટે એસ.ટી. બસોની ટ્રીપ દોડાવાઇ
365-ધ્વજાઓ માં અંબાના મંદિરના શિખરે ચડાવાઇ
312-લોકોએ વિનામૂલ્યે બસની મુસાફરી કરી
15-ગ્રામ સોનાની આવક થઇ મંદિરમાં
From-Banaskantha update