ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022-23ના બજેટમાં ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રૂ.500 કરોડની જોગવાઈ કરી હતી તેમાં ગુજરાતની તમામ રજીસ્ટર ગૌશાળા પાંજરાપોળોમાં આશ્રિત ગૌવંશ સહિતના પશુઓના નિભાવ માટે આ યોજનાની જાહેરાત કર્યા પછી સરકાર તરફથી યોજનાનો અમલ કરાવવા માટે સંચાલકોએ વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર તરફથી કોઇપણ કાર્યવાહી ન થતા નારાજ થઇ સોમવારે જલારામ ગૌશાળા,ભાભર ખાતે બનાસકાંઠા જીલ્લાનાં પ્રતિનિધિઓની બેઠક મળી હતી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે તા.07/09/2022નાં રોજ ભાભર ખાતે ગુજરાતભરના તમામ ગૌશાળા પાંજરાપોળોના સંચાલકો ગૌમાતા અધિકાર માટે વિશાળ સંમેલનનું આયોજન કરી ત્યાંથી સરકાર સામે લડવા માટેની નવી રણનીતિ કરી જાહેરાત કરવામાં આવશે.
ગુજરાત માનવસેવા અને પશુસેવા માટે અગ્રેસર છે અને ગુજરાતભરમાં 1700 જેટલી ગૌશાળા પાંજરાપોળોમાં 4.5 લાખ જેટલા ગૌવંશ સહિતના અન્ય પશુઓની સેવા કરવામાં આવી રહી છે અને આ સંસ્થાઓ દાનદાતાઓના સહયોગથી ચાલે છે. જયારે છેલ્લા 5 વર્ષમાં અનેક કારણોસર આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી આ સંસ્થાઓને મળતું દાન ઘટી જતાં સંસ્થાઓ આર્થીક મુશ્કેલીઓમાં આવતા સરકાર પાસે સહાયની અપેક્ષા સાથે માંગણીઓ કરી હતી જેમાં ગુજરાત સરકાર દ્વારા અછત અને કોરોના જેવા સમયમાં આંશિક સહાય મળી હતી.
વર્તમાન પરીસ્થિતિમાં ફક્ત સમાજ અને દાનદાતાઓનાં સહયોગથી ચાલે તેમ નથી ત્યારે સરકાર પણ આ સંસ્થાઓને સહાય કરે તે માટે સરકારમાં રજૂઆત થતાં સરકારે વર્ષ ૨૦૨૨-૨૩નાં બજેટમાં મુખ્મંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રૂ.500 કરોડની જોગવાઈ કરી હતી અને તેની જાહેરાતમા એમ કહેવામાં આવ્યું હતું કે આ રૂ.500 કરોડમાંથી ગુજરાતની 1700 જેટલી ગૌશાળા પાંજરાપોળોમાં આશ્રિત 4.5 લાખ ગૌવંશ સહિતના અબોલજીવોને પ્રતિપશુ પ્રતિદિન રૂ.30 લેખે આપવામાં આવશે. આ પ્રકારની જાહેરાત થતાં સંચાલકોઓમાં આનંદની લાગણી છવાઈ હતી અને સરકારના મંત્રીઓનો વારંવાર અભિવાદન સન્માન કરી આભાર પણ વ્યક્ત કર્યો હતો.
જયારે બજેટમાં યોજની જાહેરાત કર્યા પછી સરકાર તરફથી કોઇપણ કાર્યવાહી હાથ ન ધરાઈ હોવાનુ સંચાલકોને ધ્યાને આવતા બનાસકાંઠા સહીત ગુજરાતનાં ગૌભકતો,સંચાલકો અને વિવિધ સંગઠનનાં પ્રતિનિધિઓ સરકારને લેખિત,મૌખિક વારંવાર રજુઆતો કરી તેમ છતાં પરિણામ ન મળ્યું ત્યારે આંદોલનાની શરૂઆત કરી હતી તેમ છતાં સરકારના પેટનું પાણી ન હલતા સંચાલકોમાં ભારે રોષ છવાયો છે. જયારે સોમવારે બનાસકાંઠાના જલારામ ગૌશાળા,ભાભર ખાતે બનાસકાંઠા જીલ્લાની ગૌશાળા પાંજરાપોળોના પ્રતિનિધિઓની બેઠક મળી હતી અને તેમાં અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચાના અંતે નિર્ણય કરવામાં આવ્યો હતો કે તા.07/09/2022નાં રોજ ભાભર ખાતે સમગ્ર ગુજરાતની તમામ ગૌશાળા પાંજરાપોળોના સંતો-મહંતો,ગૌભકતો, સંસ્થાનાં સંચાલકોનુ વિશાળ સંમેલન બોલવાનો નિર્ણય કર્યો હતો જેમાં 10 હજાર કરતા વધુ ગૌભકતો અને સંચાલકોની ઉપસ્થિતિ રહેશે અને તેમાં સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન બાબતે નિર્ણય લેવામાં આવશે તેવું સંચાલકોએ જણાવ્યું હતું.
From – Banaskantha Update