ખાડાઓના કારણે અનેકવાર નાના-મોટા અકસ્માત પણ સર્જાયા
બનાસકાંઠા જીલ્લામાં ચોમાસામાં વરસાદ બાદ રસ્તા પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. આબુરોડથી અમદાવાદને જોડતાં નેશનલ હાઇવે પર પણ ખાડા પડી જતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી
રહ્યા છે. આ ખાડાઓના કારણે અનેકવાર નાના-મોટા અકસ્માત પણ સર્જાતા હોવાથી વાહનચાલકોએ ખાડા પુરવાની માંગ કરી છે.
બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલો અમદાવાદ-આબુરોડને જોડતાં નેશનલ હાઇવે પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે.
પાલનપુરથી આબુરોડને જોડતાં માર્ગ પર ઠેર-ઠેર 1 થી 2 ફૂટના ખાડા પડી જતાં આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે.
આ ખાડાઓને કારણે અનેકવાર નાના-મોટા અકસ્માત પણ સર્જાયા છે. તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી ખાડાઓ પૂરવાની કામગીરી ન આરંભતા વાહનચાલકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘આ નેશનલ હાઇવે પર ચોમાસા દરમિયાન પડેલા ખાડાને પગલે થોડા દિવસ અગાઉ આબુરોડ હાઇવે પર એક ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી.
ત્યારે બીજી તરફ સાંઇબાબા નજીક એક ટ્રકના બંને પૈડાં ખાડામાં ખાબકી જતાં ટ્રક ફસાઇ હતી. જેથી હાઇવે પર ભારે ટ્રાફીકજામ સર્જાયો હતો.
જોકે, આ બંને દુર્ઘટના દરમિયાન સદનસીબે મોટી જાનહાની ટળી હતી. ત્યારે વધુ કોઇ અકસ્માતની ઘટના બને તે પહેલાં તંત્ર ઉંઘમાંથી જાગે અને હાઇવે પર પડેલા ખાડાઓ પૂરે તેવી વાહનચાલકો સહીત સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.’
From-Banaskantha update