ડીસામાં ભારે વરસાદને પગલે હરસોલીયા વાસમાં ત્રણ મકાન ધરાશયી થયા હોવાની ઘટના સામે આવી છે. ચોમાસામાં ભારે વરસાદને પગલે ગટરમાં ચોમાસાના પાણીનો પ્રવાહ વધતાં બાજુમાં આવેલા ત્રણ મકાનો ધરાશાયી થયા હતા. મકાન ધરાશાયી થતાં માલિકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ લોકોને નુકસાન વેઠવું પડ્યું છે. ડીસાના હરસોલિયા વાસમાં પણ મુખ્ય ગટર લાઈન પાસે આવેલા ત્રણ મકાનો ધરાશયી થયા હતા.
એક અઠવાડિયાથી સતત વરસતા વરસાદના કારણે મુખ્ય ગટર લાઈનમાં ચોમાસાના પાણીનો પ્રવાહ વધ્યો હતો અને તેના કારણે ગટરની દીવાલને અડીને આવેલા મુકેશભાઈ લુહાર, બાબુભાઈ પંડ્યા અને કિશનલાલ દિનકરના ત્રણ મકાનની મુખ્ય દીવાલો અને સંડાસ, બાથરૂમ સહિત મોટાભાગના મકાન ધરાશાયી થઈ ગયા હતા.
જોકે, સદનસીબે જાનહાનિ ટળી હતી. પરંતુ મકાનની દિવાલો ધરાશાયી થતાં ઘરવખરીને પણ નુકસાન થયું છે. ત્રણેય મકાનમાલિકોને અંદાજિત ત્રણથી ચાર લાખ રૂપિયા જેટલું નુકસાન થયું છે. બનાવને પગલે વોર્ડ નંબર 6ના નગરસેવક નયનાબેન સોલંકી અને પૂનમબેન ભાટી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત મકાન માલિકોને સાંત્વના આપી નગરપાલિકા વતી બનતી મદદ કરવાની ખાત્રી આપી હતી.
From – Banaskantha Update