ભારત સરકાર દ્વારા આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની ઠેર-ઠેર ઉજવણી કરાઈ રહી છે અને કાર્યક્રમ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારે ઘર-ઘર તિરંગા અભિયાનની પણ શરૂઆત કરી છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના આ નિર્ણયને ડીસાની જાણીતી ગ્રાહક હિત રક્ષક સંસ્થા જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળએ આવકારીને લોકોમાં રાષ્ટ્રભક્તિ સુદૃઢ થાય તેવા ઉદ્દેશ્ય સાથે પ્રખર રાષ્ટ્રવાદી અને ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાના અધ્યક્ષ સ્થાને ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કર્યું.
આ કાર્યક્રમ માટે સંસ્થાએ ડીસાના નાયબ કલેક્ટર પાસેથી મંજૂરી માંગતા નાયબ કલેક્ટરએ તારીખ 8/8/2022ના રોજ કાર્યક્રમ યોજવા અંગેની પરવાનગી આપી હતી. પરંતુ ત્યારબાદ અગમ્ય કારણોસર તારીખ 10/8/2022ના રોજ રજાના દિવસની તારીખ મારી અચાનક પરવાનગી રદ કરી હતી.
એક બાજુ સરકારના આ કાર્યક્રમમાં જનભાગીતા સ્વૈચ્છિક રીતે વધતી હતી અને લોકો કાર્યક્રમ માટે ઉત્સાહિત હતા ત્યારે બીજી બાજુ ડીસાના નાયબ કલેકટરના આ મનસ્વી નિર્ણયથી ધ્વજવંદન સમારોહના આયોજકો સંસ્થાના કાર્યકર્તાઓ અને ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરને આંચકો લાગ્યો હતો. નાયબ કલેકટરનો સંપર્ક કરવા પ્રયાસ કર્યા હતા. પરંતુ નાયબ કલેક્ટર આવો મનસ્વી હુકમ કરીને મેડિકલ લીવ ઉપર ઉતરી ગયેલ હોવાનું જાણવા મળેલ છે.
આ બાબતે પ્રખર ધારાશાસ્ત્રી કિશોર દવેએ નાયબ કલેકટરના આ મનસ્વી હુકમ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના ગૃહ મંત્રાલય સક્ષમ સત્તાધિકારીની મંજૂરીથી ભારતીય ધ્વજ સંહિતા 2002ના ભાગ 2ના ફકરા 2.2ના કલમ 11માં સુધારો કરવામાં આવ્યો છે અને તે સુધારા મુજબ, “જ્યાં ધ્વજ ખુલ્લામાં પ્રદર્શિત કરી (ફરકાવી) શકાશે અથવા જાહેર સભ્ય વ્યક્તિના ઘર પર પ્રદર્શિત કરી (ફરકાવી) શકાશે તેમ જ દિવસ તથા રાત દરમિયાન પણ ફરકાવી શકાશે”નો સ્પષ્ટ સુધારો હોવા છતાં અને ભારત સરકાર અને ગુજરાત સરકારના આ આવકારદાયક કાર્યોમાં વધુમાં વધુ લોકોને જોડીને રાષ્ટ્રભક્તિ પ્રત્યે જાગૃત કરવાના શ્રેષ્ઠ કાર્યક્રમમાં નાયબ કલેકટરે મનસ્વીપણું દર્શાવેલ છે.
પોતાની જો હુકમી ચલાવવા માટે કરીને પોતે આપેલ મંજૂરી કોઈ કારણ આપ્યા વગર પોતે જ રદ કરેલ છે. જો મંજૂરી રદ કરવાની જ હતી તો આપી શું કામ..? અને આપી છે તો કયા કાયદાની કઈ જોગવાઈ હેઠળ રદ કરી છે? તે નાયબ કલેક્ટરને સ્પષ્ટ કરવું જોઈએ વધુમાં કિશોર દવે જણાવ્યું હતું કે, ભારતના રાષ્ટ્રધ્વજને સન્માન સહિત ફરકાવવાનો અને તેની મર્યાદા જાળવી વંદન કરવાનો દરેક વ્યક્તિનો મૌલિક અને સંવૈધાનિક અધિકાર છે, તેને તેમ કરવાથી કોઈપણ કાયદો રોકી શકતો નથી.
ડીસાના નાયબ કલેકટરના આ ગેરબંધારણીય પગલાં સામે અમે બનાસકાંઠાના કલેક્ટરને અપીલ કરી નાયબ કલેકટરનો હુકમ રદ કરવા અને કાર્યક્રમ યોજવા અંગેની પરવાનગી માંગેલ છે. તદુપરાંત નાયબ કલેકટરના આવા સરકારની નીતિ સામે પડકાર ફેંકતા નિર્ણય સામે મુખ્યમંત્રી, ગૃહ મંત્રી અને વડાપ્રધાનને પુરાવાઓ સાથે રજૂઆત કરશું અને માંગણી કરશું કે આવા ગેર જવાબદાર નિર્ણયો સામે પગલાં ભરે…
વધુમાં ગ્રાહક જાગૃત મંડળના પ્રમુખ કિશોરભાઈ દવે જણાવ્યું હતું કે, ભલે મંજૂરી રદ કરી છે તેમ છતાં અમે નિર્ધારિત કાર્યક્રમ કરવાના જ છીએ અને રાષ્ટ્ર ધ્વજવંદન કરવો સૌ ભારતીયનો અધિકાર છે અને કોઈ અમને રોકી ન શકે જેથી ડીસાની જનતાને પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કરીએ છીએ.
From – Banaskantha Update