ટ્રાફીકજામ સર્જાતા અનેક બાઇકસવારોને અકસ્માત પણ નડયો
ડીસાના બગીચા સર્કલથી જલારામ મંદિર સુધી ટ્રાફીકજામ સર્જાતા વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા. ટ્રાફીકજામ સર્જાતા અનેક બાઇકસવારોને અકસ્માત પણ નડયો હતો.
ડીસા શહેર એ બનાસકાંઠા જીલ્લાનું વેપારી મથક માનવામાં આવે છે. જેના કારણે અસંખ્ય લોકો ડીસામાં વાહનો લઇને ખરીદી કરવા માટે આવતાં હોય છે. જેના કારણે વારંવાર ટ્રાફીકની સમસ્યા સર્જાઇ રહી છે.
ખાસ કરીને ડીસાના સાંઇબાબા મંદિર નજીક તમામ શાળાઓ અને મોટું શાકમાર્કેટ આવેલું હોવાના કારણે અનેકવાર ટ્રાફીકજામની સમસ્યા સર્જાતી હોય છે.
જેના કારણે વાહનચાલકોને કલાકો સુધી હેરાન-પરેશાન થવાનો વારો આવે છે. ત્યારે સોમવારે ડીસાના બગીચા સર્કલથી જલારામ મંદિર સુધી એક કિલોમીટરના અંતરમાં ચક્કાજામ સર્જાયું હતું.
જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ખાસ કરીને બગીચા સર્કલ પાસે ચારે બાજુ વાહનોનો ખડકલો થઇ જતાં ટ્રાફીક સમસ્યા સર્જાઇ હતી.
ખાસ કરીને બગીચા સર્કલથી જલારામ જતાં રોડ પર અનેક શાળાઓ આવેલી છે. જેના કારણે શાળા છૂટવાના સમયે વિદ્યાર્થીઓ પણ ટ્રાફીકજામમાં કલાકો સુધી અટવાયા હતા.
ત્યારે આ તરફ એક કિલોમીટર સુધી ટ્રાફીકજામ સર્જાતા અનેક અકસ્માતો પણ સર્જાયા હતા. જેમાં ટ્રાફીકજામમાં મામલતદાર કચેરી આગળ બાઇક સવાર ટ્રાફીકમાંથી નીકળવા જતાં બાઇક સ્લીપ ખાઇ ગયું હતું.
જેને નાની-મોટી ઇજાઓ થઇ હતી. ત્યારે આ તરફ એક કલાક સુધી ટ્રાફીક સર્જાતા વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
જે બાદ કલાકોની ભારે જહેમત બાદ ડીસા ટ્રાફીક પોલીસના જવાનો દ્વારા બગીચા સર્કલ પાસેથી ટ્રાફીક હટાવતાં વાહનચાલકોએ કલાકો બાદ રાહત અનુભવી હતી.
From-Banaskantha update