તળાવમાં 60 ફૂટની ઉંડાઇએ પાણી મળતાં ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રસરી
થરાદના કરણપુરા ગામમાં પંચાયત દ્વારા તળાવ ઉંડુ કરાવવામાં આવતાં તેમાંથી અમૃત જેવું મીઠું પાણી નીકળતાં હર્ષિત ગ્રામજનો દ્વારા ભૂદેવના મંત્રોચ્ચાર સાથે નીરના વધામણાં કર્યાં હતા.
નોંધનીય છે કે, તાલુકાના અનેક ગામોમાં આજે પણ 1,000 ફૂટે પણ પાણી મળતું નથી. ત્યાં માત્ર 60 ફૂટની ઉંડાઇએ મીઠું પાણી મળતાં આનંદની લાગણી છવાઇ છે.
થરાદના કરણપુરા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ જેતસીભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘કરણપુરા ગામમાં 2 વર્ષ પહેલાં 4 એકર તળાવ નીમ કરાવ્યું હતું.
જેને ચાલુ સાલમાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ઉંડુ કરાવવા સરકારના ધારા ધોરણ મુજબ રોયલ્ટી ભરાવીને ઉંડુ કરાવવા આપ્યું હતું.
ઠાકર અમરસિંહજી શેખાવત સી.એસ.મુકુલ એન્ડ કંપની સીકર રાજસ્થાન દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી. તે દરમિયાન રડકેશ્વર મહાદેવની અસીમ કૃપાથી બુધવારે તળાવ ઉંડુ કરતાં તેમાં પાણી નીકળ્યું હતું.
જેને ચાખતાં તે મીઠું જણાયું હતું. આથી ગ્રામજનો ભાવ વિભોર બન્યા હતા અને ભૂદેવના મંત્રોચ્ચાર સાથે બોલાવી નીરના વધામણાં કર્યાં હતા.’
આ અંગે સરપંચ જેતસીભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘ત્રણ દસકા પૂર્વે સરહદી પંથકમાં ખેડૂતોને સિંચાઇ માટે બોર અને કૂવા બનાવવા આશરે 80 ફૂટે પાણી મળી રહેતું હતું.
પરંતુ સમય જતાં આજની સ્થિતિએ અનેક ગામોમાં 1,000 ફૂટ સુધી પણ પાણી મળતું નથી. ત્યાં તેમના ગામના તળાવમાં 60 ફૂટની ઉંડાઇએ પાણી મળતાં 4 જગ્યાએ ખોદકામ કરાવતાં ચારેય જગ્યાએ મળ્યું હતું.
જો કે, તેમના ગામ નજીકથી સરકારની મહત્વાકાંક્ષી સીપુ પાઇપલાઇન પણ પસાર થતી હોવાથી તેના માટે પાણી આ તળાવમાં નાખવામાં આવશે પીવા અને સિંચાઇના પાણીની રાહત રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.’
From-Banaskantha update