ખેતીવાડીમાં ખેડૂતોને મીટર પ્રથાના કારણે પડતી હાલાકી બંધ થાય તેમજ રી-સર્વેમાં ખેડૂતોને થતી કનડગત ન થાય સહિતના પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ દ્વારા ડીસા મામલતદાર કચેરી ખાતે પ્રતિક ધરણા યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને ખેતીવાડીના 3 ફેજ મીટર નાબૂદ કરવા ઘણા સમયથી માગણી કરવામાં આવી રહી છે. મીટર પ્રથાથી ખેડૂતોને અનેક પ્રકારની તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી ભારતીય કિસાન સંઘ ડીસા તાલુકા દ્વારા આજે ડીસા મામલતદાર કચેરી ખાતે પ્રતિક ધરણા યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં ખેડૂતોએ મીટર પ્રથા નાબૂદ કરવા રજૂઆત કરી હતી. ઉપરાંત દાંતીવાડા તેમજ સીપુ ડેમને કેનાલ દ્વારા પાણી નાંખી બનાસ નદી જીવંત કરવા, ખેડૂતોને રી-સર્વેમાં ખુબ જ કનડગત થતી હોવાથી જૂની પદ્ધતિ યથાવત રાખવા તેમજ ખેડૂતોના ટ્રેકટરની ટોલીને આધુનિક બળદગાડું ગણી આરટીઓ પાર્સિંગમાંથી મુક્તિ આપવા સહિતના પ્રશ્નો બાબતે પણ રજૂઆત કરી હતી. કિસાન સંઘના આગેવાનોએ જણાવ્યું હતું કે, જો સરકાર અમારી આ માંગ પર ધ્યાન નહીં આપે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું.
From – Banaskantha Update