વિવાદિત અનુપ મંડળ દ્વારા ગેરકાયદેસર રીતે જગ્યા કબજે કરી સ્થાનક બનાવ્યું હતું.
દેશભરમાં હિન્દૂ સહિત ધાર્મિક વૈમનસ્ય ફેલાવવા તેમજ જૈન સાધુ સાધ્વીઓના વિરોધના કારણે સતત વિવાદમાં રહેતા અનુપ મંડળના સ્થાપક અનુપ સ્વામીની ડીસા તાલુકાના ભોયણ ગામે આવેલી સરકારી જગ્યામાં દબાણ કરીને બનાવેલી ઝોપડી (ધાર્મિક સ્થાનક) તોડી પાડવામાં આવ્યું હતું. દબાણ તોડવામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ખડકી દેવામાં આવ્યો હતો.
ડીસા તાલુકાના ભોયણ ગામે રેલવે ફાટક પાસે સરકારી જગ્યામાં આજથી આઠેક વર્ષ અગાઉ અનુપ મંડળ દ્વારા માત્ર ગ્રામ પંચાયતના ઠરાવના આધારે આશરે બે વિઘા જેટલી જગ્યાનો કબજો મેળવી અનુપ સ્વામી મહારાજનું સ્થાનક બનાવ્યું હતું. અનુપ મંડળ ઉપર દેશભરમાં જૈન સાધુ સાધ્વીઓની હત્યાના અનેક આરોપ લાગેલા છે.
તેમજ હિન્દૂ દેવી-દેવતાઓ સામે પણ જેમ તેમ નિવેદનો મંડળ સતત વિવાદમાં રહે છે જેના કારણે આ ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા સ્થાનકમાંથી થતી વિરોધ ગતિવિધિઓ રોકવા રાજ્ય સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો થઈ હતી. જ્યારે ડીસાના જૈન અગ્રણી અને પાલિકાના કોર્પોરેટર પિંકેશભાઈ દોશીએ રાજ્ય સરકાર સમક્ષ ધાર્મિક સ્થાનકના નામે કરાયેલા ગેરકાયદેસર દબાણો તોડવા લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ પણ રજૂઆતો કરતા જિલ્લા કલેકટર દ્વારા દબાણ તોડી જગ્યા ખુલ્લી કરવાનો હુકમ કરાયો હતો.
જેના આધારે આજે જિલ્લા કલેકટરની સૂચનાથી તેમજ ડીસા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ડીસા ગ્રામ્ય મામલતદાર બી.એસ તરાલ ટીમ સાથે દબાણ તોડવા પહોંચ્યા હતા. દબાણ તોડવાનું હોય અને અનુપ મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યવાહીમાં અવરોધ ઉભો કરે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીસા તાલુકા પી.આઈ એમ જે ચૌધરી, ડીસા શહેર ઉત્તર પી.આઇ જે વાય ચૌહાણ દ્વારા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેમજ અનૃપ મંડળના સભ્યોને સ્થળ પરથી દૂર કરી દેવામાં આવ્યા હતા.
મોટા ભાગના મંદિરો સરકારી જગ્યામાં જ બનેલા છે: અમૃત પ્રજાપતિ, રાષ્ટ્રીય પ્રમુખ, અનુપ મંડળ
“અનુપ મંડળ એ ખૂબ જ મોટું ધાર્મિક સંગઠન છે. અનુપ સ્વામી મહારાજના હજારો અનુયાયીઓની ભાવના તેઓની સાથે સંકળાયેલી છે. દેશભરમાં જોવા જાવ તો મોટા ભાગના મંદિરો સરકારી જગ્યામાં જ બનેલા છે. તેમજ આ જગ્યા પણ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરીને આપ્યા બાદ જ આ મંદિર (ઝૂંપડી)બનાવવામાં આવી છે. તેથી અમારી સરકારને વિનંતી છે કે, ઝૂંપડી સલામત રાખી બાકીની અન્ય જગ્યાનો કબજો અમે ખાલી કરી દેવા તૈયાર છીએ. જેથી સરકાર અમારી આટલી વાત સાંભળે તેવી વિનંતી છે.” – અમૃત પ્રજાપતિ
સરકારના આદેશ મુજબ તમામ દબાણો હટાવાશે: બી.એસ.તરાલ મામલતદાર, ડીસા ગ્રામ્ય
“ડીસાના ભોયાણ ગામે સરવેનંબર 381માં (જુનો સરવે નંબર 254 પૈકી 10)માં અનુપ મંડળ દ્વારા ગેરકાયદેસર રીતે કબજો મેળવી દબાણ કરી ઝૂંપડી બનાવી દેવામાં આવી છે. જિલ્લા કલેકટરના આદેશ અને ડીસા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ તમામ દબાણ હટાવી દેવામાં આવશે.” – બી.એસ.તરાલ
મંડળ ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનું કામ કરતું હતું: પીન્કેશ દોશી, જૈન અગ્રણી
“અનુપ મંડળ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ તેમજ જૈન ધર્મ વિશે સતત ખરાબ ટિપ્પણીઓ કરી ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય કરાતું હતું. તેમજ આ જગ્યા ગેરકાયદેસર રીતે દબાવી ધર્મ વિરોધી ગતિવિધિઓ કરાતી હોય લેન્ડિંગ ગ્રેબિંગ એકટ હેઠળ દૂર કરવા રજૂઆત કરી હતી.” – પીન્કેશ દોશી
From – Banaskantha Update