અમીરગઢના રબારીયાની સગીરા મિત્ર સાથે લગ્નમાં ગયા બાદ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં પરિવારે ચડોતરૂ કર્યું : એસ.પી. સહીત પોલીસ કાફલો દોડી ગયો
અમીરગઢના રબારીયા ગામમાં મંગળવારે ઝાડ ઉપર ગળેફાંસો ખાઇ એક સગીરાએ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઇ હતી.
તે દરમિયાન ગુરૂવારે પરિવારજનો તેના મૃતદેહને રબારીયા ગામમાં તેના મિત્રના ઘર આગળ લઇ ગયા હતા અને ત્યાં ચડોતરૂ કરી ઘરમાં તોડફોડ કરી હતી અને આગ ચાંપી કરતાં ભારે દોડધામ મચી ગઇ હતી.
જે બાદ યુવતીના મૃતદેહની અંતિમ વિધી કરાઇ હતી. જ્યાં જીલ્લા પોલીસ વડા સહીત પોલીસ કાફલો દોડી જઇ સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે, અમીરગઢના રબારીયા ગામની સગીરા તેના મિત્ર સાથે લગ્નમાં ગઇ હતી. તે દરમિયાન મંગળવારે તેનો મૃતદેહ ઝાડ ઉપર લટકતી હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઇ હતી.
અમીરગઢ સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં રખાયેલા તેના મૃતદેહને લઇને પરિવારજનો સહીત 1,000 કરતાં વધુ લોકોનું ટોળુ ગુરૂવારે મિત્રના ગામ ગરાસીયાપુરા ગયા હતા અને પછી ચડોતરૂ કરાયું હતું. જેમણે આખા ગરાસીયાપુરા ગામને બાનમાં લીધું હતું.
કેટલાંક લોકો ગામ છોડીને નાસી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ મકાનો સહીત ઘરમાં પડેલ સાધન સામગ્રીની તોડફોડ કરી મોટું નુકશાન કર્યું હતું. જ્યારે વાહનો સહીત મકાનોને ટાર્ગેટ બનાવી માલ-સમાનને આગ ચાંપવામાં આવી હતી.
જે બાદ મૃતદેહની ત્યાં જ અંતિમ વિધી કરાઇ હતી. સમગ્ર ઘટનાને લઇને જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહીત પોલીસ કાફલો ગરાસીયાપુરા ગામમાં દોડી આવ્યો હતો. સમગ્ર ગરાસીયાપુરા પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. પોલીસે 8-10 શખ્સોની અટકાયત પણ કરી હતી.
From-Banaskantha update