મહેસુલી ક્લાકે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં અભિપ્રાય બદલવા રૂ.1,50,000 ની માંગણી કરી હતી
તલોદ તાલુકાના અણીયોરમાં ગીરો મૂકેલ અવેજ ચૂકવી ગીરો મુક્ત કરાવી હોવા છતાં ગીરો રાખનાર શખ્સના વારસદારો હેરાન કરતાં હોઇ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત અરજી થયા બાદ તલોદ મામલતદાર
કચેરીએ તૈયાર કરેલ અહેવાલ બદલવા રૂપિયાની માંગણી કરતાં અરજદારે એ.સી.બી.નો સંપર્ક કર્યા બાદ તલોદ મામલતદાર કચેરીમાં જ મંગળવારે રૂપિયા આપવાનું નક્કી કર્યા બાદ કચેરીના ગેટની બહાર
ગાડીમાં બોલાવી રૂ. 50,000 લેતાં મહેસુલી ક્લાર્ક ધર્મેશભાઇ ભીખાભાઇ દેસાઇને અરવલ્લી એ.સી.બી.એ રંગેહાથે ઝડપી પાડતાં કચેરીમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લાંચીયા ક્લાર્કની ગાડીમાંથી વધુ રૂ. 11,00,000 મળી આવ્યા હતા.
વહીવટી તંત્રના મહેસુલ વિભાગમાં નર્યો ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો હોવાની ચર્ચાઓને એ.સી.બી.ના લક્ષ્યાંક પૂરા કરવાની સીમીત ઘટનાઓ વખતે પુરૂ સમર્થન મળે છે.
તલોદ તાલુકાના અણીયોર ગામના વ્યક્તિની માતાએ પતિની માલિકીની જમીન ગીરો મૂક્યા બાદ અવેજ ચૂકવી ગીરો મુક્ત કરાવી હોવા છતાં ગીરો રાખનાર શખ્સના વારસદાર કોદરસિંહ નાથુસિંહ ઝાલા
વાવેતરને નુકશાન કરી હેરાન કરી રહ્યો હોવા અંગે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત અરજી કર્યા બાદ તલોદ મહેસુલ વિભાગને તપાસ સોંપાઇ હતી.
અરજદારનો તપાસ અહેવાલ તેની વિરૂધ્ધમાં જતો હોવાનું બતાવી અહેવાલ બદલવા અને અરજી મંજૂર કરાવવા રૂ.1,50,000 ની માંગણી કરી રકઝકને અંતે રૂ. 50,000 નક્કી કરાયા હતા.
પરંતુ અરજદાર લાંચ આપવા સહમત ન હોઇ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો અને મંગળવારે મામલતદાર કચેરીમાં જ લાંચ આપવાનું નક્કી કર્યું હતું.
જેને પગલે તલોદ મામલતદાર કચેરીમાં મહેસુલ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઇ ભીખાભાઇ દેસાઇએ મંગળવારે બપોરે કચેરીની બહાર અરજદારને પોતાની ગાડીમાં બોલાવી રૂ. 50,000 લાંચ લેતાં અરવલ્લી એ.સી.બી.એ રંગેહાથ ઝડપી પાડયો હતો.
જ્યારે કચેરીમાં ફફડાટ ફેલાવનાર આ બનાવ સમયે તલોદ મામલતદાર હાજર ન હતા. ધર્મેશભાઇની ગાડીમાં રૂ. 11,00,000 મળ્યાનું એ.સી.બી. સૂત્રોએ જણાવ્યું હતું.
છેલ્લા બે એક વર્ષથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલમાં આવ્યા બાદ ઢગલા બંધ અરજીઓ થઇ રહી છે અને કમિટી દ્વારા તપાસ સોંપવામાં આવે છે.
અત્યાર સુધી ચર્ચાઇ રહ્યું હતું કે, મોટાભાગની અરજીઓમાં તપાસ અહેવાલ તૈયાર કરવામાં બંને પક્ષ સાથે વાતચીત થાય છે અને જે ન ગાંઠે તેની વિરૂધ્ધ નિર્ણય જાય છે અને આ કારણે જ લેન્ડ ગ્રેબિંગની અરજીઓના નિકાલ-નિર્ણયમાં વિલંબ થઇ રહ્યો છે.
આ પ્રકારની ચર્ચાઓને તલોદની ઘટનાએ સાચી પૂરવાર કરી છે. જો ભોગ બનનારે એ.સી.બી.નો સંપર્ક ન કર્યો હોત અને રૂપિયા આપી દીધા હોત તો તેને અનુકૂળ આવે તેવો અહેવાલ તૈયાર થઇ ગયો હોત.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અભિપ્રાય તૈયાર થઇ ગયો હતો પરંતુ તેમાં સક્ષમ અધિકારીની સહી થઇ ન હતી. રૂપિયાની રાહ જોવાઇ રહી હતી કદાચ !
From-Banaskantha update