રખડતાં પશુના ત્રાસના કારણે થોડા દિવસ પહેલાં એક વૃદ્ધે જીવ ગુમાવ્યો હતો : યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો
બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રખડતાં ઢોરોનો ત્રાસ વધ્યો છે. 2 દિવસ અગાઉ પાલનપુર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં એક વૃધ્ધને ગાયે શિંગડે ચડાવી પટકતાં મોત નિપજ્યું હતું.
જે ઘટનાની હજુ શાહી સુકાઇ નથી. ત્યાં ફરી એક યુવકને આજ વિસ્તારમાં ગાયે અડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચી છે. જેને લઇ સ્થાનિક લોકોમાં ફફડાટ પ્રસર્યો છે.
બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં છેલ્લા કેટલાંક સમયથી રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. શહેરનો હાઇવે વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર તમામ જગ્યાએ રખડતાં ઢોરો જાહેર માર્ગો પર જ બેઠક જમાવતાં હોય
છે અને અનેકવાર માર્ગો પરથી પસાર થતાં લોકો રખડતાં ઢોરોની અડફેટનો ભોગ બનતાં હોય છે. ત્યારે પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં 2 દિવસ અગાઉ હડકાઇ થયેલી એક ગાયે 8 થી 9 લોકોને અડફેટે
લઇ ઇજાઓ પહોંચાડયા બાદ એક વૃધ્ધને શિંગડે ચઢાવી પટક્યા હતા. જેને પગલે વૃધ્ધને ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું.
જો કે, આ ઘટનાને લઇ સ્થાનિક લોકો દ્વારા રખડતાં ઢોરોને પાંજરે પુરાય તેવી માંગ કરવામાં આવી હોવા છતાં પણ શહેરનું નગરપાલિકા તંત્ર નિષ્ક્રીય રહેતાં વધુ એક વખત રખડતાં ઢોરોનો ત્રાસ સામે આવ્યો હતો.
જેમાં હનુમાન ટેકરી વિસ્તારમાં જ બુધવારે રાત્રિના સમયે બાઇક પરથી પસાર થઇ રહેલા એક યુવકને ગાયે અડફેટે લેતાં યુવક પટકાયો હતો અને યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
જેને પગલે યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. મહત્ત્વની વાત એ છે કે, આ જ વિસ્તારમાં શહેરની નગરપાલિકાના પ્રમુખનું નિવાસસ્થાન આવેલું છે અને પ્રમુખના નિવાસસ્થાનથી 200 મીટરના
અંતરમાં જ આ ઘટનાઓ ઘટી છે. છતા પણ તંત્ર મૂકપ્રેક્ષક બની આ ઘટનાઓ જોઇ રહ્યું છે. જેને લઇ સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ ભભૂકેલો જોવા મળી રહ્યો છે.
ત્યારે નિંદ્રાધીન હાલતમાં સૂતેલ બનાસકાંઠા જીલ્લાનું વહીવટી તંત્ર વહેલી તકે જાગે અને રખડતાં ઢોરોને પાંજરે પુરે તેવી અત્યારે સ્થાનિક લોકો માંગ કરતાં જોવા મળી રહ્યા છે.
From-Banaskantha update