બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં આવેલ મલાણા તળાવ ભરવાની માંગ સાથે અગાઉ ખેડૂતોએ ટ્રેક્ટરો નીકાળી રેલી યોજી હતી અને જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તળાવમાં પાણી ભરવાની માંગ કરી હતી.
પરંતુ મલાણા તળાવમાં પાણી ન ભરાતાં મંગળવારે પાલનપુરના પારપડામાં આવેલ રામદેવ પીરના મંદિરે મહીલાઓ એકત્ર થઇ બેઠક યોજી હતી અને જો પાણીની માંગ નહીં સંતોષાય તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન છેડાશે તેવી મહીલાઓએ ચિમકી ઉચ્ચારી હતી.
બનાસકાંઠા જીલ્લામાં ઉનાળાની ઋતુની શરૂઆત થતાં જ પાણીનો પોકાર થવા પામ્યો છે અને ગત ચોમાસામાં બનાસકાંઠા જીલ્લામાં નહીવત વરસાદના કારણે બનાસકાંઠાના 3 જીવાદોરી સમાન ગણાતા ત્રણે જળાશયોમાં પાણી ન હોવાના કારણે બનાસકાંઠા જીલ્લામાં ચાલુ વર્ષે પાણીને લઇને મોટી સમસ્યા સર્જાઇ શકે તેમ છે.
ત્યારે બીજી તરફ દિવસેને દિવસે જમીનમાં પાણીના તળ ઉંડા જઇ રહ્યા છે. જેના કારણે ખેડૂતોને ખેતી કરવા માટે પણ મુશ્કેલી સર્જાઇ રહી છે.
ત્યારે થોડા દિવસ અગાઉ બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં આવેલ મલાણા તળાવ પાણીથી ભરવા માટે મલાણા ગામ સહીત આજુબાજુના 50 ગામના 5,000 જેટલાં ખેડૂતો એકત્રિત થયા હતા અને ટ્રેક્ટર રેલી યોજી હતી.
જે બાદ તમામ ખેડૂતોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મલાણા તળાવમાં પાણી ભરવાની માંગ કરી હતી અને 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.
જે બાદ તંત્ર દ્વારા પાલનપુરના મલાણામાં આવેલ તળાવમાં પાણી ન ભરાતાં મહીલા ખેડૂતો મેદાને ઉતરી હતી. મંગળવારે પારપડામાં આવેલ રામદેવ પીરના મંદિરમાં મોટી સંખ્યામાં મહીલાઓ એકત્ર થઇ હતી.
જ્યારે પાલનપુર પંથકમાં પાણીની માંગ સાથે પારપડામાં મહીલાઓએ બેઠક યોજી હતી અને જો સરકાર દ્વારા મલાણા તળાવમાં પાણી નહીં ભરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડાશે તેવી મહીલા ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી હતી.
From-Banaskantha update