બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકાની આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરજ બજાવતા રાજસ્થાનના બીએસએફ જવાને સોમવારે સવારે અગમ્ય કારણોસર પોતાની રાયફલથી આપઘાત કર્યો હતો. માવસરી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ભારત-પાકિસ્તાન સરહદ પર દેશની રક્ષા બીએસએફ જવાનો કરી રહ્યા છે. ત્યારે માવસરીની હદમાં અંબાજી બીઓપીના લિંબુણી ઓપી પર જીરો પોઇન્ટ પાસે ફરજ બજાવતા રાજસ્થાનના ભોમારામ રૂગારામ (ઉં.વ.આ.44, રહે.ઇન્દોખા, તા.જી.નાગોર) એ ફરજ દરમિયાન સોમવારે સવારે 7-30 વાગ્યા આસપાસ સાથી જવાન પોઇન્ટ ચેક કરવા જતાં જ ભોમારામએ પોતાની રાઇફલ વડે દાઢી પાસે જડબામાં ગોળી મારી આત્મહત્યા કરી હતી.
ત્યારે સાથી જવાને માવસરી પોલીસને જાણ કરાતાં માવસરી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. માવસરી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બીએસએફ જવાનો દ્વારા મૃતક જવાનના મૃતદેહને વાવ રેફરલ ખાતે પીએમ અર્થે લવાયો હતો. એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી રાઇફલ, ફુટેલ કારતૂસ, મેગઝીનમાંથી કારતૂસ કબજે કરી તપાસ અર્થે લઇ ગયા હતા.
From – Banaskantha Update