ડીસા સિવિલ હોસ્પિટલમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા એક યુવકના મૃતદેહનું કલાકો સુધી પી.એમ. કરવામાં ન આવતાં મૃતકના પરિવારજનોને મંગળવારે વહેલી સવારથી સિવિલ હોસ્પિટલમાં બેસી રહેવાનો વારો આવ્યો હતો. જેથી મૃતકના પરિવારજનોએ આ અંગે સિવિલ હોસ્પિટલના તબીબો સામે રોષ વ્યક્ત કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, લાખણી તાલુકાના ધુણસોલ ગામમાં રહેતાં ભવનભાઇ મફાભાઇ ઠાકોર (ઉં.વ.આ. 27) સોમવારની મોડી રાત્રે રોડ પર ઉભા હતા.
તે દરમિયાન કોઇ અજાણ્યા ટ્રેક્ટર ચાલકે ટક્કર મારતાં યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવકનું મોત નિપજતાં પરિવારજનો મંગળવારે વહેલી સવારે મૃતદેહને ડીસા સિવિલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે લવાયો હતો.
જ્યાં મંગળવારે મોડી સાંજ સુધી મૃતકના મૃતદેહનો પી.એમ. કરવામાં ન આવતાં પરિવારજનોએ દિવસભર સિવિલ હોસ્પિટલમાં જ રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો. કલાકો સુધી મૃતકનો મૃતદેહ પી.એમ. રૂમમાં જ રઝળતો રહ્યો હતો અને મોતનો મલાજો ન જળવાતાં મૃતકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના તબીબો સામે રોષ વ્યક્ત કર્યો હતો.
આ અંગે સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ રજા પર હોવાના લીધે સિવિલ સુપ્રિટેન્ડેન્ટનો ચાર્જ આર.એમ.ઓ.ને સોંપવામાં આવ્યો છે.
પરંતુ આર.એમ.ઓ. પણ સિવિલ હોસ્પિટલમાં ફરજ મળ્યા ન હતા. પરંતુ સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટના ખરેખર દુઃખદ ઘટના છે. કારણ કે, જેમને પરિવારનો સભ્ય ગુમાવ્યો હોય અને તેમના પર દુઃખ આવી પડયું હોય તેવા સમયે તેમને પરેશાન થવું પડે તે કેટલું યોગ્ય કહેવાય. ?
From-Banaskantha update