ગલબાભાઇ નાનજીભાઇ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડીકલ કોલેજ મોરીયામાં આંતરરાષ્ટ્રીય મહીલા દિવસ નિમિત્તે પશુપાલક મહીલા સંમેલનનું આયોજન કરાયું હતું. મંગળવારે બનાસ ડેરી દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં 15,000 થી વધુ મહીલાઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત મહીલાઓની પશુપાલન ક્ષેત્રે જાગૃતિ આવે તે માટે વિવિધ નાટકોનું આયોજન બનાસ ડેરીના કર્મચારી મહીલાઓ દ્વારા કરાયું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલે વર્ચ્યુઅલ માધ્યમથી હજારો બહેનોને સંબોધન કર્યું હતું.
સી.આર.પાટીલે બનાસકાંઠાની મહીલા પશુપાલકોને સહકાર ક્ષેત્રે આપેલા યોગદાનને બિરદાવ્યું હતું. દૂધના વ્યવસાયને બહેનોએ વેગ આપ્યો છે. આ સાથે તેમણે બનાસ ડેરીના સુકાની શંકરભાઇ ચૌધરીના સક્ષમ નેતૃત્વ અને પારદર્શક વહીવટના પણ વખાણ કર્યાં હતા.
આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠા જીલ્લો દૂધના વ્યવસાય થકી આર્ત્મનિભર બન્યો છે. જ્યારે બનાસ ડેરી વિવિધ પ્રકારના વ્યવસાયો થકી લાખો પરિવારોને રોજગારી આપી છે.
તેમણે જીલ્લાની બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.‘ જ્યારે જાહેરાત કરી હતી કે, ‘આવનાર સમયમાં જળસંચય અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.’
આ પ્રસંગે બનાસ મેડીકલ કોલેજના પ્રમુખ પી.જે.ચૌધરી, ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઇ, રાજ્યસભા સાંસદ દિનેશભાઇ અનાવાડીયા, પ્રભારી નંદાજી ઠાકોર, સુરેશભાઇ શાહ અને પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સહીતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
From-Banaskantha update