શિવરાત્રિનો મહા પર્વ હોવાથી મંગળવારે વહેલી સવારથી જ દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ત્યારે પાલનપુરના શિવ મંદિર પાતાળેશ્વર મંદિરમાં સવારથી જ ભોલે શંકરના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.
પાલનપુરનું પાતાળેશ્વર મંદિર ખૂબ જ પૌરાણિક છે અને જમીનથી ખૂબ જ નીચે પાતાળમાં આવેલું છે. જેથી જ તેનું નામ પાતાળેશ્વર મંદિર પડયું છે તેવું માનવામાં આવે છે.
આ મંદિર 51 ફૂટ ઉંચુ અને જમીનથી 51 ફૂટ ઉંડું ઉત્તર ગુજરાતનું એક માત્ર મંદિર છે. અહીં મહાદેવના દર્શન માટે દૂરદૂરથી ભક્તો આવે છે. આ પાતાળેશ્વર મંદિરના દર્શનથી જ ભક્તોના કષ્ટ દૂર થઇ જાય છે. શિવના નામથી જ આત્માને તૃપ્તિ મળી જાય છે.
શિવરાત્રિના પાવન દિવસે ભક્તો શિવ મંદિરોમાં જઇને શિવની પૂજા કરીને શિવની કૃપા મેળવે છે. જેના થકી ભગવાન શિવ તેમના ઉપર હંમેશને માટે કૃપામાન રહે છે. આ પાતાળેશ્વર મહાદેવના મંદિરમાં સવાર-સાંજ રોજ આરતી થાય છે અને ભગવાનને ભોગ ચડાવવામાં આવે છે.
શિવરાત્રિના દિવસે અહીં મેળો ભરાય છે અને ભક્તો દૂરદૂરથી શિવજીના દર્શન કરવા ઉમટી પડે છે. મંગળવારે શિવરાત્રિ હોવાથી ભક્તો મોટી સંખ્યામાં આ પાતાળેશ્વર મંદિરમાં આવીને શિવની મહાપૂજા અર્ચના કરે છે. આ મંદિરમાં આવવાથી લોકોના દુઃખ દર્દ અને કષ્ટ દૂર થાય છે. જેથી ભક્તો શિવના દર્શન કરીને પાવન થાય છે.
From-Banaskantha update