દાંતાના કુંડેલ ગ્રામ પંચાયતમાં આવતા ખાઈવાડ ગામના એક દ્રષ્ટિહીન નિરાધાર વૃદ્ધ સરકારી સહાયથી વંચિત રહી ગયા છે. દાંતા તાલુકાની કુંડેલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા ખાઈવાડ ગામમાં રહેતા ધુળાજી સરદારજી ઠાકરડા પોતે નિરાધાર અને વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છે. આંખોની દ્રષ્ટિ પણ છીનવાઈ ગઈ છે. વહીવટીતંત્ર જયારે સરકારી સહાયોની આંકડાની માયાજાળ પ્રદર્શિત કરી રહી છે. ત્યારે આ એક વૃદ્ધ કે જેમને જીવન નિર્વાહ માટે ઉપર આભ અને નીચે ધરતીનો એક માત્ર સહારો જોવા મળી રહ્યો છે.
કુંડેલ ગ્રામ પંચાયતના પાંચ પાંચ સરપંચો બદલાઈ ગયા પરંતુ પોતાને આજ સુધી પાકું ખોરડું બનાવવાની સહાય પણ મળી નથી. નિરાધાર વૃદ્ધને બી.પી.એલ.નું રેશન કાર્ડ તો ઠીક પણ કિસાન સહાય યોજના માટે બેંકમાં ખાતું ખોલાવવાથી માંડી જરૂરી કાગળ કાર્યવાહી લાકડીના ટેકે કરી પરંતુ આજ સુધી પોતાના ખાતામાં ફૂટી કોડી પણ જમા થવા પામી નથી. એટલું જ નહિ વૃદ્ધ પેન્શન સહાય પણ મળી નથી. આવી દારુણ પરિસ્થિતિમાં જીવતા આ નિરાધાર માટે કુદરત જ એક સહારો હોવાની વેદના હૃદયને કંપાવી જાય છે.
સરકાર પોતાના ગરીબો પ્રત્યેના કાર્યો બતાવવા માટે તાલુકે તાલુકે ગરીબ મેળા યોજવા જઇ રહી છે. ત્યારે દાંતા તાલુકાના ખાઇવાડના ધૂળાજી જેવા તો ઘણા બધા લાભાર્થીઓ સરકારની અનેકવિધ યોજનાઓથી અલિપ્ત રહી ગયા હશે. તંત્ર શું આવા જેમને ખરેખર સહાય મળવાપાત્ર છે. તેમને ગરીબ મેળામાં સહાય મળશે?
From – Banaskantha Update