ડીસા શહેરમાં આવેલ બનાસ નદી પુલ પર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યાના કારણે વાહનચાલકોને માથાના દુખાવા સમાન સાબિત થઇ રહ્યું છે. રોજે રોજ કલાકો સુધી બનાસ નદી પુલથી ગાયત્રી મંદિર સુધી ટ્રાફિક ચકકાજામ થતા વાહનચાલકોને કલાકો સુધી આ ટ્રાફિક જામમાં ફસાઈને રહેવું પડે છે.
ડીસા એ વર્ષોથી જીલ્લાનું વેપારીમથક માનવામાં આવે છે જેના કારણે રોજેરોજ બનાસકાંઠા જિલ્લા સહિત રાજસ્થાનમાંથી પણ વેપારીઓ વેપાર અર્થે ડીસામાં આવતા હોય છે જેના કારણે હાલમાં પુલ જર્જરિત થયો હોવાના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે અને બાજુમાં નવા પુલ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે.
જેના કારણે હાલમાં ડીસા ગાયત્રી મંદિરથી આરટીઓ ચાર રસ્તા સુધી જવા માટે માત્ર એક જ રસ્તો હોવાના કારણે રોજ કલાકો સુધી ટ્રાફીક જામ સર્જાય છે. ત્યારે આજે વાહનચાલકોને ટ્રાફિકમાં ફસાઈ ન રહેવું પડે તે માટેની વ્યવસ્થા હાઇવે ઓથોરિટી દ્વારા શરૂ કરવામાં આવી છે.
જે અંતર્ગત આજે ડીસા મામલતદાર અને તેમની સાથે હાઇવે ઓથોરિટીની ટીમ ડીસા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પહોંચી હતી જ્યાં ટ્રાફિકની સમસ્યા કઈ રીતે હલ કરી શકાય તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ડીસા બનાસ નદી પુલ પર બની રહેલ નવા પુલનું કામ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી લોકોને તકલીફ ન પડે તે માટે આજે મામલતદારની હાજરીમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે સર્વે કરવામાં આવ્યું હતું.
From – Banaskantha Update