ગુજરાતના રાજકોટમાં મુંજકા નજીક આવેલ શ્યામાપ્રસાદ મુખર્જી નગર આવાસ યોજનાના રહેવાસીઓ દ્વારા બનાવેલા સોશિયલ મીડિયાના ગ્રુપમાં શિવાજી મહારાજની જયંતી નિમિતે મૂકાયેલી પોસ્ટને લઇ વિવાદ સર્જાયો છે. આવાસ યોજનામાં રેહતા વકીલે ધાર્મિક લાગણી દુભાય તેવી ગ્રુપમાં શિવાજી મહારાજની ગંદી કોમેન્ટ કરી હતી.
સ્થાનિકો સમજાવવા જતા છરા સાથે આવાસ યોજના ક્વાટર્સમાં આંતક મચાવી એક ફ્લેટના દરવાજાના ગણપતિ ભગવાનના તોરણને છરીથી તોડી નાંખી નુકસાન કરી ધમકી આપી હતી. તેમજ પોલીસને પણ માર માર્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા તેની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના મુંજકા ક્રાઇસ્ટ કોલેજ રોડ ઉપર રહેતા જ્યોતીબા ગીરીરાજસિંહ કરણસિંહ સોઢાએ વકીલ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે આવાસ યોજનાના ક્વાટર્સની સી વિંગના ફ્લેટ નંબર 103માં રહેતા એડવોકેટ સોહિલ હુસેનભાઈ મોરનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, 19 ફેબ્રુઆરીના રોજ શિવાજી મહારાજની જયંતી હોઈ સોશિયલ મીડિયાના ગ્રુપમાં ક્વાટર્સના ફ્લેટ નં.1304માં રહેતા વિષ્ણુભાઇ ગુણવંતભાઇ જોશીએ શિવાજી મહારાજનો ફોટો મૂક્યો હતો. આ પોસ્ટ ઉપર સોહિલ મોરે ધાર્મિક લાગણી દુભાઈ તેવી કોમેન્ટ કરી હતી.
બાદમાં જ્યોતિબા ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયા અને કોમેન્ટ કરનાર કોણ છે તે જાણવા માટે તેમણે સોહિલના ફોન નંબર પર ફોન કરતા સામેથી સોહિલ મોર બોલે છે તેમ જણાવ્યું હતું. જ્યોતિબાએ શિવાજી મહારાજ વિશે આવી કોમેન્ટ કરવા બાબતે પૂછતા સોહિલે હજુ કોમેન્ટ કરીશ અને તમે ગ્રુપમાંથી રિમૂવ થઇ જાવ અને અહીંયા પાકિસ્તાન થઈ ગયું છે તેવો વાણી વિલાસ કર્યો હતો. જ્યોતિબાએ તમે ક્યાં રહો છો તેમ પૂછ્યું હતું ત્યારે સોહિલે પોતે ફ્લેટ નં.103માં રહે છે તેમ જણાવ્યું હતું. જ્યોતિબાએ હું તમને મળવા આવું છુ તેમ કહી ફોન કટ કરી નાખ્યો હતો.
શિવાજી મહારાજ બાબતે સોહિલને જ્યોતિબા સમજાવવા જતા હતા ત્યારે મુંજકાના રહેવાસી દીપભાઇ દેવાયતભાઇ દવે મળતા તેમને સમગ્ર વાત જણાવી હતી. અત્યારે આ બાબતે આવાસ યોજનાના રહેવાસીઓને મળી બેઠક કરી નિર્યણ લેવાની વાત કરી હતી. જ્યોતિબા એક સંબંધીને ત્યાં ઘરે બેસવા ગયા હતા ત્યારે શ્યામા પ્રસાદ મુખર્જી નગર આવાસ યોજનાના રહેવાસી માલતીબેન બાગનભાઈનો તેમને ફોન આવ્યો અને જણાવ્યું કે સોહિલ તેમના ફ્લેટની સામેના ફ્લેટ નં.103ની પાસે હાથમાં છરો લઇને ફરે છે અને મોટા અવાજે રાડો પાડી બેફામ ગાળો બોલે છે અને તેઓના ફ્લેટના દરવાજા ઉપરના ભાગે ગણપતિ ભગવાનની ફોટો વાળી ફ્રેમ નીચે પાડી નુકસાન પહોંચાડ્યું છે.
આ વાત થતા જ્યોતિબાએ સ્થળ ઉપર જઈ તપાસ કરતા C વીંગ ફ્લેટ નં.103 સોહિલ મોરના ફ્લેટ આગળ ઘણા માણસો ભેગા જોવા મળ્યા હતા અને કોઇએ 100 નંબરમાં ફોન કર્યો હશે. જેથી પોલીસ પણ આવી ગઈ હતી. સોહિલની ધરપકડ માટે આવેલી પોલીસ સાથે પણ માથાકૂટ કરી હતી. જ્યોતિબાએ આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, ”સોહિલનું કોઈના દ્વારા બ્રેનવોશ કરી દેવામાં આવ્યું છે. કટ્ટર માનસિકતા ધરાવતા સોહિલની સામે તપાસ કરવામાં આવે તો જેહાદી સંગઠનો સાથેના સંપર્ક નીકળે તેવી શક્યતા છે. ધંધૂકા જેવી ઘટના બને તે પહેલા નેતાઓ આ ઘટનાને ગંભીરતાથી લે તેવી અમારી અપીલ છે.”
From – Banaskantha Update