દિયોદર રેલવે ફાટક પાસે રહેણાંક વિસ્તારમાં 6 ઓક્ટોબર-2021ના રોજ એક પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જેના શંકાસ્પદ મૃત્યુ અંગે ચાર માસ બાદ મૃતક પરિણીતાના પિતાએ દિયોદર જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સાસરિયાંઓએ સામે ગળે ફાંસો આપ્યાની ફરિયાદ આપતા આ અંગે દિયોદર પોલીસે પતિ સહિત સાત સાસરીયાઓ સામે હત્યા, શારીરિક-માનસિક ત્રાસ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દિયોદર રેલવે ફાટક પાસેના રહેણાક વિસ્તારમાં રહેતા માધુભાઈ નારણભાઈ નિરાશ્રિત ઠાકોરની પુત્રવધૂ કાજલબેન હરેશભાઈ નિરાશ્રિત ઠાકોરે ગત 6 ઓક્ટોબર-2021 ના રોજ બપોરના સમયે તેણીના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનું શંકાસ્પદ મૃત્યુ થવાં પામ્યું હતું.
તે સમયે મૃતક યુવતીના પિતાની સાથે સમાધાન થયા અંગેની વાત કરી સાસરિયાં પક્ષ દ્વારા અંતિમવિધી કરી દેવામાં આવી હતી. ત્યારબાદ મૃતક પરિણીતાના પિતા બળદેવભાઈ રામાભાઈ ડુંગરાણી (મકવાણા) (રહે.અમરાપુર, તાલુકો.સમી,જીલ્લો-પાટણ, હાલ રહે.ઇન્દ્રા,તા.કડી,જિલ્લો-મહેસાણા) એ દિયોદર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ ખાતે પોતાની ફરિયાદ આપતાં કોર્ટના આદેશથી શનિવારે દિયોદર પોલીસ મથકે મૃતક પરિણીતાના પતિ સહિત સાસરિયાં સામે હત્યા, શારીરિક-માનસિક ત્રાસ અંગેનો ગુનો નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.
આ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો:-
હરેશભાઈ માધુભાઈ નિરાશ્રિત ઠાકોર (પતિ)
માધુભાઈ નારણભાઈ નિરાશ્રિત ઠાકોર(સસરા)
સવિતાબેન માધુભાઈ નિરાશ્રિત ઠાકોર (સાસુ)
સોમાભાઈ માધુભાઈ નિરાશ્રિત ઠાકોર (જેઠ)
સમુતાબેન સોમાભાઇ (જેઠાણી)
ભારતીબેન અનિલભાઈ ચાવડા (નણંદ)
અનિલભાઈ સવલાલ ચાવડા (નણદોઈ)
(તમામ હાલ રહે.દિયોદર)
From – Banaskantha Update