પાલનપુરની ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતાં કર્મચારીનું સીમ કાર્ડ 3 દિવસ બંધ થઇ ગયું હતું. જે ચાલુ કરાવ્યું ત્યાં સુધીમાં અજાણ્યા શખ્સે ફેક્ટરીના બેંક ખાતામાંથી રૂ. 33 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી દીધા હતા. આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર-અમદાવાદ હાઇવે નજીક આવેલી ઘી-તેલના ખાલી ડબ્બા બનાવવાની ફેક્ટરી જાળેશ્વર ટીન ઇન્ડ્રસ્ટીઝમાં એકાઉન્ટનું કામ સંભાળતાં સાગ્રોસણાના હરેશગીરી કેશવગીરી ગૌસ્વામીએ ફેક્ટરીના બેંક એકાઉન્ટમાં પોતાનો મોબાઇલ આપ્યો હતો.
જેના ઉપર આવતાં ટ્રાન્જેકશન મેસેજ ફેક્ટરીના વહીવટદાર ગોવિંદભાઇ નરસંગભાઇ ચૌધરી અને જયેશભાઇ નાનજીભાઇ ચૌધરી જોઇ શકે છે. તે દરમિયાન તા. 25 જાન્યુઆરીના દિવસે આ મોબાઇલ બંધ થઇ ગયો હતો.
જેમણે તા. 26 જાન્યુઆરીએ તેમના દીકરા કિરણને પાલનપુર બી.એસ.એન.એલ. કચેરીએ મોકલ્યો હતો. જો કે, સીમ કાર્ડ હરેશપુરીના પિતાના નામે હોવાથી તેમના નામનું આધાર કાર્ડ આપી નવું સીમ ચાલુ કરાવ્યું હતું.
આ પ્રોસેસ દરમિયાન અજાણ્યા શખ્સે યેન-કેન પ્રકારે ઇન્ટરનેટ બેંક ટ્રાન્જેકશન માટેના ઓટીપી મેળવી બેંક ખાતામાંથી રૂ. 33,00,000 ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા.
આ અંગે હરેશગીરી ગૌસ્વામીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘી-તેલના ખાલી ડબ્બા બનાવવાની આ ફેક્ટરીમાં સાગ્રોસણાના નાનજીભાઇ અવચળભાઇ પટેલ, હસમુખગીરી કેશવગીરી ગોસ્વામી, સેદ્રાસણના કેતનકુમાર રામજીભાઇ ચૌધરી, સાગ્રોસણાના રમેશકુમાર ઘેમરભાઇ ફોફ, પાલનપુર બેચરપુરાના નરેન્દ્રગીરી બાબુગીરી ગૌસ્વામી અને સાગ્રોસણાના ટીનાબેન ભાવેશકુમાર વાગડા ભાગીદાર છે.
From-Banaskantha update