થરાદના ચામુંડાનગરની શેરીમાંથી બીજી શેરીમાં જવાનો રસ્તો ન હોઇ અને વારંવાર માંગણીઓ કરવા છતાં પણ તેમનો રસ્તો કાઢી આપવામાં આવતો ન હોઇ પડતી મુશ્કેલીઓની ફરિયાદ કરવા મંગળવારે સાંજે વોર્ડ નંબર પાંચની મહિલાઓનું ટોળું થરાદના નાયબ કલેકટર કચેરીમાં દોડી આવ્યું હતું અને જો કાર્યવાહી ન કરાઈ તો ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.
રસ્તાને મુદ્દે થરાદના ચામુંડાનગર સોસાયટીની મહિલાઓનું ટોળું મંગળવારે સાંજે થરાદના નાયબ કલેકટર સમક્ષ રજુઆત કરવા માટે દોડી આવ્યું હતું. તેમની શેરીમાંથી દરેક શેરીમાં આવવા જવા માટે રસ્તાની સગવડતા ન હોવાથી તેમના ધંધા અને ઘરવપરાશના સાધનો લાવવા લઈ જવામાં તેમજ વૃદ્ધ અને બીમાર વ્યક્તિઓને દવાખાને લઈ જવા હોય તે વખતે એમ્બ્યુલન્સ જેવું સાધન લાવવામાં તેમજ તેને વળતું કરી શકાય તેમ ન હોવાથી બીમાર અને વૃદ્ધ વ્યક્તિને ઉપાડીને શેરીની બહાર લઈ જવા પડે છે. આથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
વોર્ડ નંબર પાંચના સ્થાનિકો દ્વારા પાલિકાને રસ્તો ફાળવી આપવા બાબતે લેખિતમાં રજુઆતો કરાઈ છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અહીંના રહીશો દ્વારા ચૂંટણીઓનો બહિષ્કાર કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. નાયબ કલેકટર વી.સી બોડાણાએ આવેદનપત્ર સ્વીકારી પાલિકામાં મોકલી આપવાની ખાતરી આપી હતી.
From – Banaskantha Update