ડીસામાં છેલ્લા કેટલાંય સમયથી રખડતાં પશુઓનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. જેને લઇને શહેરીજનોમાં ભારે આક્રોશ ભભૂક્યો છે.
જેમાં ડીસાના 11 જાગૃત નાગરિકો દ્વારા રખડતાં પશુઓની સમસ્યાને દૂર કરવા માટે સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ફરિયાદ પણ નોંધાવી હતી.
અને સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ કોર્ટ દ્વારા તા. 31 મી સુધી 10 દિવસમાં શહેરમાં રખડતાં પશુઓની સમસ્યાને દૂર કરવા નગરપાલિકા અને પોલીસ વિભાગને આદેશ કરવામાં આવ્યો છે.
છતાં વહીવટી તંત્ર દ્વારા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ કોર્ટના હુકમને ઘોળીને પી ગયા હોય તેવું દેખાઇ રહ્યું છે. રવિવારે નગરપાલિકા પ્રમુખની ઓફીસ આગળ આખલાઓનું યુધ્ધ ખેલાયું હતું.
જેમાં પણ શહેરીજનોના જીવ પડીકે બંધાયા હતા. જ્યારે સોમવારે ડીસાની વિશ્વકર્મા સોસાયટીમાં એક ગાયે યુવકને અડફેટે લેતાં યુવક ગંભીર ઇજાગ્રસ્ત થતાં ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
અને યુવકના પરિવારજનો દ્વારા નગરપાલિકા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારે તાત્કાલિક અસરથી વહીવટી તંત્ર દ્વારા ડીસામાંથી રખડતાં પશુઓની સમસ્યાને દૂર કરવામાં આવે તેવી શહેરીજનો દ્વારા માંગ કરાઇ છે.
ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોર મામલે ટકોર કર્યા બાદ મહાનગરપાલિકાઓ રખડતા ઢોર પકડવા કામે લાગી છે. આમ છતાં હજુ પણ નાના નગરોમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત જોવા મળે છે.
ડીસામાં રખડતાં પશુઓને કારણે લોકો પરેશાન થઇ ગયા છે. નાયબ કલેક્ટરના હુકમ છતાં ડીસા નગરપાલિકા રખડતાં પશુઓને દૂર કરવામાં નિષ્ફળ રહ્યું હોય તેવું લાગી રહ્યુ છે.
અવાર-નવાર ડીસામાં આખલાઓ સહીતના ઢોરનો ત્રાસ રહેતો હોય છે. સ્થાનિકો દ્વારા પણ આ અંગે અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરાઇ છે.
છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવતાં નથી અને જીવના જોખમે લોકો રસ્તો પસાર કરવા મજબૂર બને છે. ત્યારે સોમવારે પણ બનાસકાંઠાના ડીસામાં આખલાઓ આતંક મચાવ્યાના દ્રશ્યો સામે આવ્યા છે.જ્યારે ડીસાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આખલાનો આતંક યથાવત રહ્યો હતો.
જેમાં રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા નગરમાં રહેતાં ભાવેશકુમાર ગીરધરભાઇ લોધા નામના એક યુવકને એક ગાયે અડફેટે લેતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે તાત્કાલીક તેમના પરિવારજનોએ યુવકને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
From-Banaskantha update