બટાટાની ખેતી માટે પ્રખ્યાત ડીસામાં આ વર્ષે પાછોતરાં સુકારા નામના રોગે ખેડૂતોની મુસીબતોમાં વધારો કરી દીધો છે. પાછોતરાં સુકારાને પગલે આગામી સમયમાં ડીસામાં બટાટાના ઉત્પાદન પર અસર થવાની સંભાવનાઓ કૃષિના તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે.
બટાટાની ખેતીમાં પાછોતરો સુકારો એક પ્રકારનો રોગ છે. સામાન્ય રીતે આ રોગ બનાસકાંઠા જીલ્લામાં જોવા મળતો નથી. પરંતુ આ વર્ષે વારંવાર થયેલા કમોસમી વરસાદને પગલે ડીસા તાલુકાના કેટલાક ગામોમાં પાછોતરો સુકારો નામનો રોગ જોવા મળી રહ્યો છે.
આ રોગ આવવાથી બટાટાના પલૂર સુકાઈ જાય છે અને તેના લીધે બટાટાનો વિકાસ અટકી જાય છે. જેની અસર ઉત્પાદન પર પડે છે અને ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે. અત્યારે આ રોગ ડીસા તાલુકા અને દાંતીવાડા તાલુકામાં જોવા મળી રહ્યો છે. ડીસા બટાટા સંસોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક જણાવી રહ્યા છે કે, હવામાં ભેજનું પ્રમાણ 95% ટકાથી વધી જાય અને તાપમાન 7 ડિગ્રીથી 26 ડિગ્રી રહે ત્યારે આ રોગ હવા અને બીજ મારફત ફેલાતો હોય છે.
બટાટામાં પાછોતરાં સુકારા નામનો રોગ આવી જતાં હવે ઉત્પાદન પર તેની અસર જોવા મળશે. પરંતુ વર્તમાન સમયમાં હજુ સુધી આ રોગચાળો સીમિત છે અને આ રોગચાળાને અટકાવવા માટે ખેડૂતોએ કઈ કઈ દવાનો કેટલા પ્રમાણમાં ક્યારે ક્યારે છંટકાવ કરવો તે અંગે ડીસા બટાટા સંશોધન કેન્દ્રના પેથોલોજિસ્ટ જિગ્નેશ પટેલે ખેડૂતોને માહિતગાર કર્યા હતાં.
સામાન્ય રીતે બટાટામાં પાછોતરો સુકારા નામનો રોગ બનાસકાંઠા જીલ્લામાં ભાગ્યે જ જોવા મળતો હોય છે. પરંતુ આ વર્ષે વારંવાર થયેલા કમોસમી વરસાદને પગલે પાછોતરાં સુકારાના રોગનો બટાટાનું વાવેતર શિકાર બન્યું છે. ત્યારે ખેડૂતોએ પણ આ રોગથી પોતાના પાકને બચાવવા માટે કૃષિ તજજ્ઞોની સલાહ માનવી જોઇએ. કારણ કે પાછોતરાં સુકારા નામના રોગથી ગ્રસ્ત થયેલા બટાટાનો જો આગામી સમયમાં બિયારણ તરીકે ઉપયોગ કરવામાં આવે તો નવા વાવેતરને પણ નુકશાન પહોંચાડી શકે છે.
From – Banaskantha Update