દાંતાના જેતવાસમાં પાંચ વર્ષ અગાઉ જમીનની તકરારમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરનારા બે આરોપીઓને પાલનપુરની છઠ્ઠી એડિશનલ સેશન્સ કોર્ટના ન્યાયાધીશે આજીવન કેદ અને રૂપિયા પાંચ હજારના દંડનો હુકમ કર્યો.
દાંતા તાલુકાના જેતવાસ કુંભારીયા ઢેબરાફીના બચુરાભાઇ કાળાભાઇ પરમાર (ઉ.વ.32) પાંચ વર્ષ અગાઉ તારીખ 29/12/2017ના રોજ સાંજના સાતથી આઠના સુમારે જેતવાસ જી.આઇ.ડી.સી.માં કાંટા પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે મોટર સાયકલ ઉપર આવેલા તેમના કૌટુમ્બિ મુંગળાભાઇ થાવરાભાઇ પરમાર, ધરમાભાઇ ધનાભાઇ પરમાર અને અન્ય અજાણ્યા શખ્સે જમીનની તકરારમાં છરીના ઘા માર્યા હતા. જેમને ગંભીર ઇજા થતાં પાલનપુર સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતુ.
આ અંગે અંબાજી પોલીસ મથકે હત્યાનો ગૂનો નોંધાયો હતો. દરમિયાન આ અંગેનો કેસ પાલનપુરની છઠ્ઠી એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ આર.પી. મોગરાએ મદદનીશ સરકારી વકીલ ડી. એચ. છાપીયાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી મુગરાભાઇ થાવરાભાઇ પરમાર અને ધરમાભાઇ ધનાભાઇ પરમારને ઇપીકો ક. 302, 114માં આજીવન કેદની સજા અને રૂપિયા 5,000ના દંડ અને જો રૂપિયા 5,000નો દંડ ન ભરે તો એક માસની સજાનો હુકમ કર્યો હતો.
From – Banaskantha Update